ટીમ ઇન્ડિયા માટે આજે પ્રતિષ્ઠાનો સવાલ, અફઘાનિસ્તાન સામે મુકાબલો...
T-20 વર્લ્ડ કપમાં આજે ભારતની ત્રીજી મેચ છે. ટીમ ઇન્ડિયા અફઘાનિસ્તાન સામે ટકરાશે. અગાઉ 2 મેચ હારી ચૂકેલી ટીમ માટે આજે પ્રતિષ્ઠાનો સવાલ છે. ટીમ ઇન્ડિયા માટે હવે 3 મેચ બાકી છે, ત્યારે ટીમ ઇન્ડિયાની સેમી ફાઇનલમાં પહોંચવાની આશા નહિવત છે. જો કોઈ ચમત્કાર થાય તો વાત અલગ છે.
પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામેની કારમી હાર બાદ ભારતીય ટીમનો સેમી ફાઈનલમાં જવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે. ભારતીય ટીમને તેમના અભિયાનને પાટા પર લાવવા માટે મોટી જીતની જરૂર છે. એક જીત ચિત્ર બદલી શકે છે. આ સાથે જ બધાની નજર ટીમ કોમ્બિનેશન પર છે. આજે જોવું રહ્યું કે, સિનિયર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પ્લેઈંગ ઈલેવનમાં તક મળે છે કે કેમ..! રોહિત શર્મા અને કેએલ રાહુલ 2 ખરાબ મેચો બાદ પુનરાગમન કરવા ઈચ્છે છે. સૂર્યકુમાર યાદવ જ્યારે ફિટ થશે, ત્યારે રમશે અને હાર્દિક પંડ્યાની જગ્યાએ ઈશાન કિશનને પણ લાવવામાં આવી શકે છે. પંડ્યા 2 મેચમાં 35 બોલમાં 31 રન જ બનાવી શક્યો હતો. અફઘાનિસ્તાન વિરુદ્ધ રશીદ અને ગુલબદન નાયબ વચ્ચેની ઓવર નિર્ણાયક બની રહેશે, જેને ધ્યાનથી રમવી પડશે. આ એક એવી મેચ છે, જેમાં જીતવાથી ભારતને કોઈ શ્રેય નહીં મળે. તો બીજી તરફ અફઘાનિસ્તાને સ્કોટલેન્ડ અને નામિબિયાને હરાવવા ઉપરાંત પાકિસ્તાન હારના આરે લઈ ગયું હતું. પરંતુ આસિફ અલીએ એક ઓવરમાં 4 સિક્સર ફટકારીને તેમની પાસેથી જીત છીનવી લીધી હતી. હવે મોહમ્મદ નબી અને રાશિદ ખાન પોતાની ટીમના દાવાને મજબૂત કરવા માટે ભારત સામે ટી-20 લીગમાં રમવાના તેમના તમામ અનુભવનો ઉપયોગ કરવા માંગશે...