સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણ કાર્યક્રમ સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહજી જાડેજાએ લીધી જાત મુલાકાત

New Update
સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણ કાર્યક્રમ સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહજી જાડેજાએ લીધી જાત મુલાકાત

કાર્યક્રમ સ્થળ સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર,ટેન્ટ સિટી, વોલ ઓફ ફ્લાવર્સ, હેલીપેડ સહિતનાં સ્થળોએ મંત્રીએ રૂબરૂ પહોંચી આપ્યું માર્ગદર્શન

કેવડીયા કોલોનીના સર્કિટ હાઉસમાં મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ સનદી અધિકારીઓ સાથે યોજી બેઠક

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનો લોકાર્પણ કાર્યક્રમ પણ વૈશ્વિક બની રહે, તે સાથે ભારત વર્ષના જનજનની ભાવના સંવેદનાને પણ ઝંકૃત કરી શકાય, તેવું સુચારૂ આયોજન-વ્યવસ્થા ઘડી કાઢવાની હિમાયત રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહજી જાડેજાએ કરી છે.

અખંડ ભારતના શિલ્પ એવા સરદાર વલ્લભભાઇ પટેલની વિરાટ પ્રતિમા અને સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વની ગરિમાને છાજે તેવા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમને, વિશ્વ આખુ જ્યારે અહોભાવથી નિહળી રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમ એક ભારત – શ્રેષ્ઠ ભારતની વિભાવનાને પરિપૂર્ણ કરશે, તેમ પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું. સરદાર સરોવર ડેમની સામે, માં નર્મદા નદીની વચ્ચોવચ્ચ, સાધુ બેટ ઉપર ઉભેલી ૧૮૨ મીટર ઉંચાઇની સરદાર સાહેબની એકતાની મૂર્તિ, વૈશ્વિક પર્યટકો માટે જ્યારે આકર્ષણનું કેન્દ્ર બનવા જઇ રહી છે ત્યારે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર તથા તેની આસપાસ આકાર લઇ રહેલા પ્રકલ્પો પણ વધુ લોકભોગ્ય બનશે તેમ પ્રદિપસિંહજીએ જણાવ્યું હતું.

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ – ૩૧ મી ઓક્ટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન જ્યારે સાકાર થઇ રહ્યું છે, ત્યારે વડાપ્રધાનનાં હસ્તે રાષ્ટ્રાર્પણ થવા જઇ રહેલી વિરાટ પ્રતિમાને નિહાળવા અને સરદાર સાહેબના જીવન કવનમાંથી પ્રેરણા લેવા દેશ –વિદેશના પર્યટકો નર્મદા મૈયાના તટે ઉમટી પડશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન દ્વારા મુખ્ય સ્ટેજ ઉપરથી પ્રજાજોગ અપાનારા સંદેશ સહિત પ્રતિમાનું અનાવરણ, જલાભિષેક, વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રતિમાનું પૂજન-અર્ચન જેવા કાર્યક્રમો અંગે પણ ગૃહ રાજ્યમંત્રી જાડેજાએ સૂક્ષ્મ વિગતો મેળવી ઉપયોગી સૂચનો રજૂ કર્યા હતાં.

પ્રતિમાનાં રાષ્ટ્રાર્પણની સાથે સાથે વોલ ઓફ યુનિટી, ટેન્ટ સીટી, વેલી ઓફ ફ્લાવર્સ, એક ભારત – શ્રેષ્ઠ ભારતની ઝાંખી કરાવતા દેશભરના કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તૃતિ, ભારત ભવન પ્રદર્શન સહિતનાં શ્રેણીબધ્ધ કાર્યક્રમોનાં આયોજન વ્યવસ્થા અંગે પણ મંત્રી જાડેજાએ ઝીણવટભરી વિગતો મેળવી હતી. ટેન્ટ સીટી, વેલી ઓફ ફ્લાવર્સ, વોલ ઓફ યુનિટી, સભાસ્થળ સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની જાત મુલાકાત લેતાં મંત્રી જાડેજાએ સંબંધિત અધિકારીઓ, એજન્સીઓને જરૂરી સૂચનો કર્યાં હતાં.

ગૃહ રાજ્યમંત્રીની ઉક્ત મુલાકાત દરમિયાન ગુજરાતનાં અગ્રણી ભાર્ગવભાઇ ભટ્ટ, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ગૃહ વિભાગનાં અધિક મુખ્ય સચિવ એ.એમ. તિવારી, પોલીસ વિભાગનાં અન્ય વરિષ્ઠ સનદી અધિકારીઓ,નર્મદા-પંચાયત વિભાગનાં અગ્રસચિવ એ.કે. રાકેશ, નર્મદા નિગમનાં સંયુક્ત વહિવટી સંચાલક સંદિપકુમાર, માર્ગ અને મકાન વિભાગનાં સચિવ સી.બી. વસાવા, જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા, જિલ્લાનાં અગ્રણી ઘનશ્યામભાઇ દેસાઇ સહિત નર્મદા નિગમનાં વરિષ્ઠ ઇજનેરઓ મંત્રીની સાથે જોડાયાં હતાં.

દરમિયાન રાજ્યનાં મુખ્ય સચિવ જે.એન. સિંઘ સહિત ઉચ્ચ-વરિષ્ઠ સનદી અધિકારીઓની ઉપસ્થિતિમાં કેવડીયા કોલોનીનાં વીવીઆઇપી સર્કિટ હાઉસ ખાતે આયોજિત બેઠકને સંબોધતાં મંત્રી જાડેજાએ કાર્યઆયોજનને આખરી ઓપ આપતા કેટલાક જરૂરી અને ઉપયોગી સૂચનો રજૂ કરી, સૌને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

Latest Stories