કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત રાજ્યના પ્રવાસે
પહેલા નોરતે અમિત શાહ સુરત શહેરના મહેમાન બન્યા
ઈસ્કોન મંદિરના ભૂમિપૂજન પ્રસંગમાં તેઓએ હાજરી આપી
આ મંદિર સંસ્કૃતિ અને સંસ્કારોનું કેન્દ્ર બનશે : અમિત શાહ
કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની પણ ઉપસ્થિતી
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે, ત્યારે નવરાત્રિના પહેલા નોરતે તેઓએ સુરતમાં ઈસ્કોન મંદિરના ભૂમિપૂજન પ્રસંગમાં હાજરી આપવા પહોચ્યા હતા. તેમની સાથે કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે પધાર્યા છે, તેઓ ગત તા. 21 રવિવારે સાંજે સુરત પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રીના સ્વાગત માટે કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, સાંસદ મુકેશ દલાલ, સ્થાનિક ધારાસભ્યો અને પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે તેઓ રાજ્યના 3 શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સવારે તેઓ સુરત શહેરના એન્થમ સર્કલ નજીક આવેલ ઈસ્કોન મંદિરના ભૂમિપૂજન પ્રસંગમાં હાજરી આપવા પહોચ્યા હતા.
અમિત શાહે ભૂમિપૂજન બાદ પોતાના સંબોધનમાં પણ ઇસ્કોન મંદિરના નિર્માણ અને તેના આધ્યાત્મિક મહત્વ પર ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નહીં, પરંતુ સંસ્કૃતિ અને સંસ્કારોનું કેન્દ્ર બનશે. તેમની સાથે ઉપસ્થિત કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલે પણ આ પ્રસંગને ઐતિહાસિક ગણાવી સૌનો આભાર માન્યો હતો. સુરત બાદ અમિત શાહ રાજકોટમાં 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે. આ મુલાકાત ભાજપના સંગઠનને વધુ મજબૂત કરવાના હેતુથી યોજાઈ હોવાનું માનવામાં આવે છે. જે બાદ તેઓ મોડી રાત્રે અમદાવાદ આવશે અને સરખેજ વોર્ડમાં નવરાત્રિ પર્વ નિમિત્તે આયોજીત રાસ-ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ તુરંત કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસે રાજકીય પંડિતોનું ધ્યાન ખેંચ્યું છે.