Connect Gujarat
ગુજરાત

72મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પ્રજાજોગ સંદેશ

72મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પ્રજાજોગ સંદેશ
X

સ્વરાજ માટે બલિદાન આપનારા શહિદોનું સપનું સુરાજ્યની સ્થાપના દ્વારા સાકાર કરીએ : ‘લીવ ફોર ધ નેશન’ સૂત્ર અપનાવીએ

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 72માં સ્વાતંત્ર્ય પર્વે પ્રજાજનોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે, સદીઓ સુધી અવિરત સંઘર્ષ કરીને નામી-અનામી અનેક વીરલાઓએ પોતાની જિંદગી ખપાવી દઇને આપણને મહામૂલી આઝાદી અપાવી છે. પરાધિનતામાંથી આપણને સ્વાધિન બનાવ્યા.

આઝાદીના લડવૈયાઓએ ‘ડાય ફોર ધ નેશન’ સૂત્ર અપનાવ્યું હતું. તેમના પગલે આપણને આઝાદી મળી અને હવે આપણે સ્વરાજ્યમાંથી સુરાજ્ય તરફ જવા ‘લીવ ફોર ધ નેશન’ સૂત્રને આત્મસાત કરવું પડશે.. આજે વિકાસની રાજનીતિથી સવાસો કરોડ દેશવાસીઓને ‘સૌના સાથ સૌના વિકાસ’ના મંત્ર સાથે સુરાજ્યની અનૂભુતિ આપણે કરી રહ્યા છીએ.

મુખ્યમંત્રીનો સંદેશો

વ્હાલા નાગરિક ભાઇઓ-બહેનો...

આઝાદી પર્વની આપ સૌને અનેક અનેક શુભકામનાઓ.

દેશ જ્યારે આઝાદીનું પર્વ મનાવી રહ્યો છે ત્યારે આઝાદીના લડવૈયાનું સ્મરણ સ્વાભાવિક જ થઇ જાય છે. સદીઓ સુધી અવિરત સંઘર્ષ કરીને નામી-અનામી અનેક વીરલાઓએ પોતાની જિંદગી ખપાવી દઇને આપણને મહામૂલી આઝાદી અપાવી છે. પરાધિનતામાંથી આપણને સ્વાધિન બનાવ્યા. દેશ માટે મરી ફિટનારા એ સૌને નમન કરવાનો આ આઝાદી પર્વનો ઉત્સવ છે.

આપણા માટે ગૌરવની બાબત એ છે કે આઝાદીના શિરમૌર એવા બે મહાન વ્યક્તિત્વ મહાત્મા ગાંધી-સરદાર સાહેબ ગુજરાતની ભૂમિના સંતાન હતા. સ્વરાજ્ય માટે તેઓ ખપી ગયા. સંઘર્ષ કર્યો અને એ સંઘર્ષ યાત્રાની સફળતાએ ૧૯૪૭માં આપણને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વિશ્વના નકશે સ્થાન અપાવ્યું.

ભાઇઓ-બહેનો, આપણા દેશમાં એક મોટી પેઢી એવી છે જેણે ના તો ગુલામી જોઇ છે, ના ગુલામીની યાતનાની એને કલ્પના છે. ગુલામીની વાત આજે પણ સાંભળીએ છીએ ત્યારે કાળજુ કંપી જાય છે.

આઝાદીનું શું મહત્વ હોય એ ત્યારે આપણને સમજાય છે. સ્વરાજ્ય-આઝાદી માટે ખપી જનારા ભારત માતાના સપૂતોના બલિદાન-ત્યાગ રાષ્ટ્રપ્રેમ, ફનાગીરી આજે પણ આપણને ગુલામીના કાળખંડની કાલિમા તાજી કરાવે છે. એ સપૂતોએ આપણને સ્વરાજ્ય અપાવ્યું સ્વતંત્રતાનો અધિકાર અપાવ્યો પરંતુ કમનસીબે આઝાદીની સાથે આ અધિકાર ભાવનો અતિરેક થતો ગયો. રાષ્ટ્ર માટે-દેશ માટે- સમાજ માટેનો કર્તવ્યભાવ ધીરે ધીરે લોપ થવા લાગ્યો અને એટલે સ્વરાજ્ય મળ્યું પણ સુરાજ્યનું સપનું સાકાર ન થઇ શકયું.

મિત્રો, કોઇ પણ લોકશાહી, કોઇ પણ વ્યવસ્થા, કોઇ પણ પ્રજા જીવન કયારેય કર્તવ્ય ભાવ વગર આગળ ધપી જ ન શકે. શું આપણને નથી લાગતું? જે મહાપુરૂષોએ સ્વરાજ્ય માટે સંઘર્ષ કર્યો, બલિદાન આપ્યા એમના બલિદાનની ગાથાને સુરાજ્યની યાત્રાથી ઊજાગર કરવામાં અત્યાર સુધી કોઇને કોઇ ઉણપ રહી હોય. એટલે જ કહેવાતું હતું કે ‘ડાય ફોર ધ નેશન’ અને ‘લીવ ફોર ધ નેશન’.

Next Story