Connect Gujarat
Featured

દિલ્હી: ખેડૂત આંદોલન 18માં દિવસે પણ યથાવત, ખેડૂતો હવે ઉપવાસ શરૂ કરશે

દિલ્હી: ખેડૂત આંદોલન 18માં દિવસે પણ યથાવત, ખેડૂતો હવે ઉપવાસ શરૂ કરશે
X

નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો આજે 19મો દિવસ છે. દિલ્હીની સરહદો પર બધા જ ખેડૂત સંગઠનો ઉપવાસ કરશે. ખેડૂતો આજે સવારે 8.00થી સાંજે 5.00 વાગ્યા સુધી એક દિવસની ભૂખ હડતાળ કરશે. ખેડૂતોના આંદોલનને ડામવા માટે કેન્દ્ર સરકારે કવાયત હાથ ધરી છે, જેના ભાગરૂપે દિલ્હીની સરહદો પર મોટી સંખ્યામાં સલામતી દળના જવાનોને ખડકી દેવાયા છે. વધુમાં કેન્દ્ર સરકારે કૃષિ કાયદાના સમર્થનમાં ખેડૂત સંમેલનો યોજવાનું શરૂ કર્યું છે.

સુપ્રીમ કોર્ટ 16 ડિસેમ્બરે કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધમાં દિલ્હીની વિવિધ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને તાત્કાલિક હટાવવાની અરજી પર સુનાવણી કરશે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રસ્તો બંધ હોવાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેનાથી કોવિડ-19ના મામલામાં વધારો થઈ શકે છે.

ખેડૂતોની ભૂખહડતાળને રાજકીય પક્ષોએ પણ સમર્થન આપ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના પ્રમુખ અરવિંદ કેજરીવાલે ખેડૂતોની સાથે એક દિવસનો ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી. તેમણે દેશવાસીઓને પણ એક દિવસના ઉપવાસમાં જોડાવા અપીલ કરી છે.

ખેડૂતોના આંદોલનના સમર્થનમાં પંજાબના નાયબ ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી, જેલ) લખમિંદર સિંહે રવિવારે નવા કૃષિ કાયદાના વિરોધમાં અને ખેડૂતોના આંદોલનના સમર્થનમાં તેમના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું.

Next Story