દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે દ્વિતીય પુણ્યતિથિ, “અટલ સ્મૃતિ” પર દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
વર્ષ 2018ની તા. 16 ઓગસ્ટના રોજ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં બીમારીની ચાલેલી લાંબી સારવાર બાદ 93 વર્ષની વયે અટલ બિહારી વાજપેયીનું અવસાન થયું હતું. તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન એવા “ભારત રત્ન”થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. અટલ બિહારી વાજપેયીએ ભારતમાં 3 વખત વડાપ્રધાનનું પદ સંભાળ્યું હતું. તેઓ સૌથી પહેલા વર્ષ 1996માં 13 દિવસ માટે પીએમ તરીકે રહ્યાં હતા, અને ત્યાર બાદ વર્ષ 1998માં તેઓએ કેન્દ્રમાં 13 મહીના રહી સરકાર ચલાવી હતી. વર્ષ 1999માં તેઓ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા હતા.
દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે દ્વિતીય પુણ્યતિથિ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ સહિત દિગ્ગજ નેતાઓએ “અટલ સ્મૃતિ” પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉપરાંત વાજપેયીના પુત્રી નમિતા કૌલ ભટ્ટાચાર્ય, પૌત્રી નિહારિકા, કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિતના નેતાઓ અને ગણમાન્ય લોકોએ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. અટલ બિહારી વાજપેયીની શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું હતું કે, દેશની પ્રગતિમાં અટલ બિહારી વાજપેયીના અમૂલ્ય યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.