શાળા પ્રવેશોત્સવથી રાજ્યમાં શિક્ષણની કાયાપલટ થઇ છે : મંત્રી ઇશ્વરસિંહ પટેલ

New Update
શાળા પ્રવેશોત્સવથી રાજ્યમાં શિક્ષણની કાયાપલટ થઇ છે : મંત્રી ઇશ્વરસિંહ પટેલ

વાગરાના લખીગામ,દહેજ અને કડોદરા ગામે મંત્રીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

સહકાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે આજે પ્રવેશોત્સવના બીજા દિવસે વાગરા તાલુકાના લખીગામ, દહેજ અને કડોદરા ગામોની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના બાળકોનું નામાંકન કરાવ્યું હતું.

વાગરા તાલુકાના લખીગામ, દહેજ અને કડોદરા ખાતેના કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ-૨૦૦૩ થી કન્યા કેળવણી, મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણનો ધ્યેય સિધ્ધ કરવા, વાલીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા શુભ હેતુથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવથી સુંદર પરિણામો પ્રાપ્ત થયેલા છે. અને શાળા પ્રવેશોત્સવથી શિક્ષણની કાયાપલટ થઇ છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક બાળક ભણી-ગણીને રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરે તે પ્રકારના વાતાવરણનું નિર્માણ કરવાની જવાબદારી આપણાં સૌની છે. ધો.૮ પછી અન્ય કારણોસર પ્રવેશ ન લઇ શકતાં વિદ્યાર્થીઓનું નામાંકન થાય તે માટે આ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણું બાળક અધ્ધવચ્ચેથી અભ્યાસ છોડી ન દે તેવા સંકલ્પ કરવા વાલી તથા શિક્ષકોને અનુરોધ ર્ક્યો હતો. તેમણે રાજ્ય સરકાર ધ્વારા શાળાઓમાં હાથ ધરાયેલી વિવિધ માળખાકીય સુવિધાઓની પણ વિગતે માહિતી આપી હતી.