-
3 દિશાએ દરિયાથી ઘેરાયેલો દેવભૂમિ દ્વારકા જિલ્લો
-
ઓપરેશન સિંદૂર બાદ સમુદ્ર સીમાની સુરક્ષામાં વધારો
-
દરિયાઈ વિસ્તારમાં મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ
-
23 ટાપુઓમાંથી 21 ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ કરાયો
-
ગેરકાયદે માછીમારી પ્રવૃત્તિઓમાં સામેલ 20 બોટ જપ્ત
ઓપરેશન સિંદૂર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમુદ્ર સીમામાં સુરક્ષામાં વધારો કરાયો છે, જ્યાં મરીન પોલીસ દ્વારા જબરજસ્ત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં પાર પડાયેલા ઓપરેશન સિંદૂરને સફળતા મળી છે, ત્યારે ઓપરેશન સિંદૂર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. 3 બાજુથી દરિયાથી ઘેરાયેલું હોવાથી, દ્વારકા દેશની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. સત્તાવાળાઓએ જિલ્લાના 23 ટાપુઓમાંથી 21 ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધિત કર્યો છે.
મરીન પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે ગેરકાયદેસર માછીમારી પ્રવૃત્તિઓમાં સામેલ અનેક બોટને પકડવામાં આવી છે. આ બોટો જરૂરી ટોકન્સ વિના અથવા જૂના ટોકન્સનો દુરુપયોગ કરીને તેમજ હોકાયંત્ર, એન્ડ્રોઇડ બેરોમીટર અને ઇમરજન્સી સ્મોક સિગ્નલ જેવા આવશ્યક સાધનો વિના ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, આ ઉલ્લંઘન બદલ દ્વારકા જિલ્લા પોલીસે ગુજરાત મત્સ્યઉદ્યોગ અધિનિયમ અને BNSની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યા છે. જેમાં બેટ દ્વારકા, વાડીનાર, સલાયા, દ્વારકા અને ઓખા નજીકના વિસ્તારોમાંથી 20 બોટ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.