![ગોધરા: અનૂસૂચિત સમાજ દ્વારા રેલી કાઢી અન્યાય મુદ્દે આપવામાં આવ્યું આવેદન](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-113.jpg)
પંચમહાલ જિલ્લામાં અનૂસૂચિત જાતિ સામે થતાં અન્યાય બાબતે ગોધરા ખાતે અનૂસૂચિત સમાજના અગ્રણીઓ દ્વારા રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીને સંબોધી પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે બાબા આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લા સહિત આજુબાજુના જિલ્લાઓમાં અનુસૂચિત જાતિના લોકો પર થતા અત્યાચારના વિરોધમાં આજરોજ પંચમહાલ તથા વડોદરા જિલ્લાના અનૂસૂચિત જાતિના અગ્રણીઓ એકત્રિત થઇ અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી પોતાની સાથે થતા અન્યાયને લઇને સરકાર સુધી રજૂઆત કરવા જણાવ્યું હતું. તાજેતરમાં ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં અનૂસૂચિત જાતિના લોકોને લગ્ન પ્રસંગમાં વરઘોડો કાઢવા, ઘોડા પર બેસવા, બેન્ડવાજા વગાડવા વગેરે બાબતોમાં દલિતો સાથે થતા અન્યાયને લઇને આજરોજ ગોધરા ખાતે અનૂસૂચિત જાતિના અગ્રણીઓએ પ્રથમ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહારવિધિ કર્યા બાદ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી.
આ રેલીમા પંચમહાલ તથા વડોદરા જિલ્લાના અનૂસૂચિત જાતિના યુવાનો જોડાયા હતા. જિલ્લાના અને ગામડાઓમાં દલિત સમાજના લોકોના શુભ પ્રસંગોએ વરઘોડો નહીં કાઢવા, ઘોડા પર નહી બેસવા તથા મંદિરમાં પ્રવેશવું નહી આવા અનેક અન્યાયને લઈને સરકાર પાસેથી ન્યાય મળે તેવા આશયે જિલ્લા નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.