/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/Nitin-Patel.jpg)
રાજ્ય સરકારના આઠ લાખથી વધુ અધિકારી/કર્મચારી- પેન્શનરોને ૨ % મોંઘવારી ભથ્થાનો લાભ અપાશે : Dy.CM નીતિન પટેલ
આગામી તહેવારોને અનુલક્ષીને રાજય સરકારે કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. જે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના આઠ લાખથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ તથા પેન્શનરોને તા.૦૧.૦૧.૨૦૧૮ થી ૨% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ સપ્ટેમ્બર-૨૦૧૮ ના પગાર સાથે ચુકવવામાં આવશે, જેનાથી રાજ્ય સરકારને રૂ.૬૮૦ કરોડનો વધારાનો વાર્ષિક બોજ પડશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારી કર્મચારીઓ માટે અનેકવિધ નિર્ણયો કર્યા છે, જેના ભાગરૂપે આ નિર્ણય કરાયો છે, તેમ જણાવી નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ કે, રાજ્ય સરકારના ૧,૮૫,૫૭૫, પંચાયત વિભાગના ૨,૦૮,૭૭૧ અને ૪,૨૬,૪૧૮ પેન્શનરો મળી, અંદાજીત કુલ ૮,૨૦,૭૬૪ અધિકારીઓ-કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે સાતમાં નાણા પંચના લાભો મંજૂર કરેલ છે, જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચુકવવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે તેના અધિકારીઓ-કર્મચારીઓ અને પેન્શનરોને જન્માષ્ટમી તથા આગામી તહેવારોને ધ્યાને લઇને, તા.૦૧.૦૧.૨૦૧૮ થી ૨% મોંઘવારી ભથ્થું રોકડમાં આપવાનો નિર્ણય કર્યો છે.