/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-345.jpg)
દમણ શહેરમાં તીનબત્તી વિસ્તારમાં એક સાથે ૮ બકરાઓના વીજ કરંટ લાગવાથી મોત નિપજ્યાં હતા. શહેરના તીનબત્તી વિસ્તારમાં અગાઉ તંત્ર દ્વારા કરવામાં આવેલ ખોદકામ બાદ વીજ નિગમના વાયરને ત્યાં જ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. જ્યારે આજે શહેરમાં બપોર બાદ ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે ખુલ્લા વીજ વાયરોમાં કરંટ પ્રસરી ગયો હતો. તીનબત્તી એ શહેરનો મુખ્ય માર્ગ હોવાથી અહી લોકોની ભારે અવરજવર રહે છે, પરંતુ આજે અહીથી પસાર થતાં ૮ જેટલા બકરાઓ આ જીવતા વીજ વાયરોમાં ફસાઈ ગયા હતા, જેને કારણે આ બકરાઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.
બકરાઓના મોત નિપજતા વીજ નિગમની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. બકરાના માલિક ફારૂકભાઈના જણાવ્યા અનુસાર, પોતાના ૮ બકરાઓને રોજની જેમ તેનો રખેવાળ ચરાવવા માટે લઈ જાય છે, પરંતુ વીજ કરંટ લાગતાં ૮ બકરાઓના મોત થવાથી તેઓને લગભગ રૂપિયા ૭૦ હજારથી વધુ જેટલું નુકશાન થયું હતું.
મળતી માહિતી પ્રમાણે, સમગ્ર ઘટનાના પગલે ફારૂકભાઈ દ્વારા વીજ નિગમની ઘોર બેદરકારી વિરુદ્ધ ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી.