ભરૂચ જિલ્લામાં મેઘમહેર થી જળબંબાકાર
ભરૂચ-અંકલેશ્વરમાં વહેલી સવારથી જ ચોમસુ બેઠું હોય તેમ જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. બેસુમાર વરસાદના કારણે જિલ્લામાં અનેક સ્થાનો પર,મુખ્યમાર્ગો ઉપર પાણી ભરાયા હતા.
આ વખતે ચોમાસુ લંબાય તેવા આસાર ઉભા થતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ધેરાયા હતા. ખેડૂતોનો આંતરનાદ સાંભળી મેઘરાજા રિઝાયા હોય તેમ વહેલી સવારથી જ જિલ્લાભરમાં વરસાદ ખાબક્યો હતો.ભારે વરસાદના પગલે જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા.
જિલ્લાના અન્ય સ્થાનો પર ખાબકેલા વરસાદના આંકડા જોઇએ તો આમોદમાં ૧ મી.મી., અંકલેશ્વરમાં ૧ ઇંચ.,ભરૂચમાં ૧૮મી.મી, હાંસોટમાં ૩ ઇંચ., વાલિયા ૩ ઇંચ., ઝઘડીયા ૮ મી.મી., જંબુસરમાં ૦૪ મી.મી.,નેત્રંગ ૧ ઇંચ તો વાગરામાં ૧૨ મી.મી.,વરસાદ નોંધાયો હતો.
ભરૂચ શહેરમાં વરસાદમાં શહેર જળબંબાકાર થયું હતું. જેમાં ભરૂચ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઘોળીકુઇ બજાર,દાંડીયા બજાર,પાંચબત્તી,ફુરજા,સેવાશ્રમ રોડ, લીંક રોડ જેવા મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ સોસાયટી વિસ્તારોમાં પણ પાણીના નિકાલની કોઇ નક્કર યોજનાના અભાવે પાણી ભરાતા લોકોને હાલીકી વેઠવી પડી હતી.