ભોલાવ ગ્રામપંચાયતની હદમાં ડેન્ગ્યુનો વાવર ફાટી નીકળતા ગ્રામજનોએ પંચાયત ઉપર મચાવ્યો હલ્લો

સમગ્ર રાજ્ય સહિત ભરૂચમાં પણ ડેન્ગ્યૂએ પોતાનો કહેર વર્તાવ્યો છે. ત્યારે ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરના ભોલાવ ગામમાં ૨૦ જેટલા લોકોને ડેન્ગ્યુ થયો હોવાની અને ડેન્ગ્યુના કારણે જ ગામમાં એક મહિના પહેલા બે યુવાનોના મોત પણ થયાની માહિતી પ્રાપ્ત થઈ છે. ત્યારે પંચાયત દ્વારા વસાવેલા ફોગીંગ મશીન તેના સ્ટોર રૂમમાં ધૂળ ખાતા દેખાતા ગ્રામજનોમાં પંચાયત વિરુદ્ધ ઉગે રોષ જોવા મળી રહ્યો છે.
ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસા બાદ શહેર જિલ્લામાં પાણી જન્યરોગોએ માથું ઉચક્યું છે. ઠેર- ઠેર ગંદકી અને અમુક સ્થળોએ ભરાયેલા ચોખ્ખા પાણીના કારણે મચ્છરોનું પ્રમાણ શહેરમાં વધ્યું છે. તેમાં પણ મેલેરિયા અતે ડેન્ગ્યુના વાવરે તો જાણે શહેરના અમુક વિસ્તારોને બાનમાં લીધા છે. શહેરની ખાનગી અને સસકારી હોસ્પિટલોમાં લોકો મોટી સંખ્યામાં લોકો ડેન્ગ્યુ અને મેલેરિયાની સારવાર લઈ રહ્યાં હોવાનું જોવા મળી રહ્યું છે.
સામાન્ય રીતે ઓક્ટોબરના અંત પછી નવેમ્બર મહિનામાં ડેન્ગ્યુના કેસો જોવા મળે છે. જેમાં આ વખતે સપ્ટેમ્બરથી જ ડેન્ગ્યુ માથું ઊંચકી રહ્યો છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા આવા વિસ્તારોમાં સર્વે કરીને ફોગીંગ અથવા દવાનો છંટકાવ કરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે. ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા ગામની બહારના ભાગે જ સાફ સફાઈ કરાવામાં આવે છે પરતું અંદરના ભાગે જયાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે, તેવા સ્થળે સફાઈ અને દવાનો છંટકાવ કરવામાં આવતો નથી.જેના કારણે ગામમાં એક મહિના પહેલા પણ બે યુવાનોના ડેન્ગ્યુના કારણે મોત નિપજ્યા છે. બીજી તરફ ચોખ્ખા પાણીમાં મચ્છર મારવાની દવાઓ પણ ખરેખર છંટકાવ થાય છે કે કેમ તે પણ મોટો પ્રશ્ન છે. જેથી પંચાયત અને આરોગ્ય વિભાગ દ્વારા ફોગીંગ અને દવાનો છંટકાવ કરવામાં આવે એવી લોકમાંગ સાથે ગ્રામજનો દ્વારા પંચાયત ખાતે ઘસી આવી ઉગ્ર રજૂઆત કરી હતી.