મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે ઉદ્ધવ સરકારની બીજી કસોટી, વિધાનસભા સ્પીકરની ચૂંટણી થશે

New Update
મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે ઉદ્ધવ સરકારની બીજી કસોટી, વિધાનસભા સ્પીકરની ચૂંટણી થશે

મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે ઉદ્ધવ સરકારની બીજી કસોટી છે. રવિવારે વિધાનસભામાં સ્પીકરની ચૂંટણી થવાની છે. મહાવિકાસ અઘાડીએ કોંગ્રેસના નાના પટોલેને તેમના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ભાજપ તરફથી કિશન કશોરે મેદાનમાં છે. સ્પીકરની ચૂંટણી બાદ સાંજે 4 કલાકે રાજ્યપાલ ગૃહને સંબોધન કરશે.

શનિવારે ઉદ્ધવ સરકારે ફ્લોર ટેસ્ટ પાસ કર્યો હતો. બહુમત પરીક્ષણ દરમિયાન કુલ 169 મત ઉદ્ધવ સરકારના પક્ષમાં પડ્યા હતા. વિપક્ષમાં એક પણ મત પડ્યો નહોતો. મતદાન દરમિયાન કુલ 4 ધારાસભ્યો તટસ્થ રહ્યા હતા. રાજ ઠાકરેની પાર્ટી એમએનએસએ સરકારના પક્ષમાં મત આપ્યો નહોતો. ઉદ્ધવ સરકારના બહુમત પરીક્ષણ વચ્ચે ભાજપના સભ્યોએ વોકઆઉટ કર્યું હતું. ભાજપના સભ્યોએ બહાર આવીને નારા લગાવ્યા હતા.

સ્પીકરની ચૂંટણી ઉપરાંત હવે ઉદ્ધવ સરકારના કેબિનેટ વિસ્તરણ પર લોકોની નજર છે. ડિસેમ્બરમાં પ્રથમ સપ્તાહ દરમિયાન થનારા વિસ્તરણમાં 14 મંત્રીઓ શપથ લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદ્ધવ સરકારમાં સીએમ સહિત શિવસેનાના કુલ 16 મંત્રી, એનસીપીના 15 મંત્રી અને કોંગ્રેસના 12 મંત્રી સામેલ હશે.

સૂત્રોના જણાવ્યા મુજબ શિવસેનાને શહેરી વિકાસ, આવાસ, સિંચાઈ અને મહારાષ્ટ્ર રાજ્ય સડક વિકાસ નિગમ મંત્રાલય મળશે. એનસીપીના ખાતામાં ગૃહ, નાણા, વીજળી અને વન પર્યાવરણ મંત્રાલય આવશે. જ્યારે કોંગ્રેસના રેવન્યૂ, પીડબલ્યુડી મંત્રાલય મળવાની સંભાવના છે.