ભરૂચ : આમોદના સરભાણ નજીકથી મળી આવેલ મૃતદેહ પાછળ ઘૂંટાતું રહસ્ય, પોલીસે તપાસ શરૂ કરી
આમોદ તાલુકાના સરભાણ ગામે વન વિભાગની નર્સરી નજીક ખાડીમાંથી રબારી સમાજના યુવાનની લાશ મળતા આમોદ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. રબારી સમાજના યુવાનની લાશ મળતા રબારી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા.
પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને આમોદ પોલીસે વીડિયોગ્રાફી સાથે લાશનો કબજો મેળવી આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.પરંતુ રબારી સમાજના આગેવાનોએ લાશને સુરત ખાતે પોસ્ટમોર્ટમ કરાવવાની જીદ કરતા પોલીસ પણ ચિંતામાં મુકાઈ ગઈ હતી. સમાજના આગેવાનોની જીદને કારણે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સીક પેનલ પોસ્ટમોર્ટમ કરવા લઈ ગયા હતા.આમોદ પોલીસે હાલ અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે ૨૨ સપ્ટેમ્બરના રોજ સાંજે ચાર વાગે શંકરભાઇ સવાભાઈ રબારી ગૂમ થયા હતા. અને ૨૩મી તારીખે તેની આમોદ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ દાખલ થઈ હતી.જયારે ૨૮ સપ્ટેમ્બરના સવારે ૧૧ વાગ્યે લાશ મળી હતી.પરંતુ પોલીસ અને રબારી સમાજના આગેવાનો વચ્ચે લાંબી રકઝક ચાલતા સવારે ખાડીમાંથી શંકરભાઇ રબારીની શંકાસ્પદ લાશ મળતા રબારી સમાજના લોક ટોળા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારે રબારી સમાજના આગેવાન તરફથી શંકર રબારીનું ખૂન થયું હોવાના સ્થળ ઉપર જ આક્ષેપ કર્યા હતા.