સુરત : ઉદ્યોગપતિના આત્મહત્યા કેસમાં આરોપી પોલીસ કર્મીઓના સસ્પેન્શન સાથે બદલી
સુરત શહેરના એક ઉદ્યોગપતિની આત્મહત્યા સંદર્ભે સુરત ગ્રામ્ય જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ ૩૦૬, ૫૦૬(ર), ૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ છે. આ ગુનામાં જેઓ આરોપી તરીકે છે તેવા સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશનના પૂર્વ પોલીસ ઇન્સપેકટર એલ.પી. બોડાણા તથા અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવેલ છે.
આ ગુનામાં સામેલ પોલીસ અધિકારીઓ અનધિકૃત રીતે રજા ઉપર ગયેલ હોય અને આમ તપાસમાં સહકાર આપતા ન હોવાની ગેરવર્તણુકને ધ્યાને લઇને તથા ઉકત ગુનામાં તેમની શંકાસ્પદ ભુમિકા જણાતા સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા તમામને સસ્પેન્ડ કરવામાં આવેલ હતા.
આ ગુનામાં નિષ્પક્ષ રીતે તપાસ થાય અને પુરાવાઓ સાથે ચેડા ન થાય તે માટે આજરોજ ડી.જી.પી. શ્રી આશીષ ભાટિયા દ્વારા એલ.પી. બોડાણા તથા અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓનું જાહેર હિતમાં ફરજમોકુફીનું મુખ્ય મથક બદલાવતાં તેમને અલગ-અલગ સ્થળે બદલી કરેલ છે. પી.આઇ. બોડાણાને પોલીસ તાલીમ મહાવિદ્યાલય, જુનાગઢ તેમજ અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓને અમરેલી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા એમ અલગ-અલગ જીલ્લામાં મૂકવામાં આવેલ છે.