કચ્છમાં આવી શકે ભૂકંપનો મોટો “આંચકો”, ભૂસ્તર શાસ્ત્રીઓના તારણમાં આવ્યું બહાર
કચ્છ જીલ્લામાં આગામી સમયમાં ભૂકંપનો મોટો આંચકો આવી શકે એવું તારણ સંશોધન દરમિયાન બહાર આવ્યું છે. ક્ચ્છ યુનિવર્સિટી અને ગાંધીનગર સિસમોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા આ અંગે સંશોધન કરાતા બહાર આવ્યું છે.
ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-5માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી ભૂકંપ આંચકાએ પેટાળને હલબલાવી નાખ્યું છે, ત્યારે કચ્છ ખાતે મેઇન ફોલ્ટ લાઇન ફરી સક્રિય બનતાં આગામી સમયમાં કચ્છમાં મોટી તીવ્રતાનો ભૂકંપ આવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે. ભૂસ્તર શાસ્ત્રીઓએ કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર કરેલા અભ્યાસ બાદ તારણ બહાર આવ્યું છે. આ ફોલ્ટ લાઇન પર છેલ્લા 1 હજાર વર્ષથી કોઇ મોટો ભૂકંપ આવ્યો ન હોવાથી જમીનની ઊર્જા વધી રહી છે. જે ગમે ત્યારે રીલીઝ થતાં મોટો ભૂકંપ આવવાની શક્યતા રહેલી છે. કચ્છના અંજાર અને ગાંધીધામની સાથે અમદાવાદમાં પણ ભયંકર નુકશાન થવાનો અંદાજો છે. આ ફોલ્ટ લાઈન જમીનના પેટાળમાં લખપતથી લઈને ભચાઉ સુધી 180 કિમી જેટલી લાંબી ફોલ્ટ લાઇન આવેલી છે.
કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના વડા ડો. એમ.જી. ઠક્કર અને જિયોલોજિસટ ડો. ગૌરવ ચૌહાણની સાથે આઇએસઆર ગાંધીનગરના ગિરીશ કોઠિયારી અને સુનીલ કુદરેગુલા તેમજ કચ્છ યુનિના ડો. એમ.ડી.ઠક્કર અને ગૌરવ ચૌહાણે સેટેલાઇટ ઇમેજના આધારે નિરોણા ગામની આજુબાજુના વિસ્તારમાં ફોલ્ટ શોધી લીધો હતો. જેમાં 5000 વર્ષ પૂર્વેના ભૂકંપના અવશેષોરૂપી ખડકો મેળવી તેનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરાયો હતો. સેટેલાઇટ ઈમેજ ઉપરાંત રેડિયો કાર્બન' ટેકનોલોજીનો અભ્યાસ કરી કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ લાઇનમાં 5000 વર્ષ પૂર્વે, 4000થી 4600 વર્ષ પૂર્વે, 2000થી 2900 અને 1000થી 1200 વર્ષ પૂર્વે અનુભવાયેલા મોટા ભૂકંપની માહિતી મેળવાઇ હતી. કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર 1 હજાર વર્ષથી કોઇ મોટો ભૂકંપ આવ્યો નથી. જેથી આગામી સમયમાં ભૂકંપ આવી શકે તેવી શક્યતા રહેલી છે.