અમદાવાદ : માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મેયરે કર્યું રોપા વિતરણ, નિયમો શું માત્ર સામાન્ય માણસો માટે ?
અમદાવાદમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે સરકારે ખાસ નિયમો બનાવ્યાં છે પણ અમદાવાદના મેયર બિજલ પટેલ સહિતના નેતાઓ જ નિયમોનું પાલન કરતાં ન હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
અમદાવાદમાં રોજના 250થી વધુ કેસો નોંધાય છે ત્યારે નિયમોના પાલન અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેયર વિવાદમાં આવ્યા છે. કોરોનાના કેસો આવેલા છે એવા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન નારણપુરાના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે તુલસી રોપાના છોડના વિતરણનો કાર્યક્રમ મેયર બીજલ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વીડિયો કોન્ફરન્સથી ઉદ્ઘાટન કર્યું હતું. માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન હોવા છતાં મેયરે આ જ જગ્યાએ કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેતા અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. શું શાસક પક્ષ ભાજપને કોરોનાના સંક્રમણ અંગે કોઈ જ ગંભીરતા નથી તેવી ચર્ચા લોકોમાં ઉઠી છે. અમદાવાદ આખું મારું છે કહેનારા મેયર બીજલ પટેલની મનમાની વધી રહી છે. મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન હોવા છતાં કાર્યક્રમ યોજવાની મંજુરી કેવી રીતે આપવામાં આવી તે પણ એક સવાલ છે. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા, પક્ષના નેતા અમિત શાહ અને દંડક રાજુભાઇ સહિતના નેતાઓ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી ગયા હતાં. નેતાઓ તેમના ભાષણોમાં લોકોને નિયમોનું પાલન કરવાની સલાહ આપતાં હોય છે પણ જાતે તેનું જ પાલન કરતાં નથી તે આ ઘટના પરથી ફલિત થાય છે.