Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કેન્દ્રિય મંત્રી મહેન્દ્ર મુંજપરાની આગેવાનીમાં જન આશીર્વાદ યાત્રાનો શુભારંભ

ભાજપની જન આશીર્વાદ યાત્રા-2021નો શુભારંભ કરાયો, કેન્દ્રિય મંત્રી મહેન્દ્ર મુંજપરાની આગેવાનીમાં નીકળી યાત્રા.

X

રાજ્યમાં ભાજપની જન આશીર્વાદ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં પણ જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી મહેન્દ્ર મુંજપરા દ્વારા ભદ્રકાળી માતા અને ભગવાન જગ્નાથજીના દર્શન કરી આશીર્વાદ લઈ જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.

કેન્દ્રિય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ પ્રજાની સુખાકારી તેમજ રાષ્ટ્ર સમૃદ્ધ, શક્તિશાળી અને સુખી બને તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અમદાવાદમાં જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર દ્વારા 9 દિવસના સેવા સેતુ કાર્યક્રમ બાદ 15મી ઓગસ્ટથી જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ સરદાર પટેલના વતન કરમસદથી કરવામાં આવ્યો હતો. તો સાથે જ મંત્રી દર્શના જરદોસે સરદાર પટેલના ઘરની મુલાકાત લઈ યાત્રાનો પ્રારંભ કર્યો હતો.

ઉપરાંત અલગ અલગ જિલ્લામાં પણ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની આગેવાનીમાં યાત્રા કાઢવામાં આવી રહી છે. પાલનપુર ખાતે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જન આશીર્વાદ યાત્રાના શુભારંભ પહેલા કેન્દ્રિય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે અંબાજીમાં મા અંબાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. પ્રજાની સુખાકારી તેમજ રાષ્ટ્ર સમૃદ્ધ, શક્તિશાળી અને સુખી બને તેવી મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ યાત્રાના સંયોજક અને પ્રદેશ ઉપપ્રમુખ ગોરધનભા ઝડપિયા, રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story