અમદાવાદ : AMC તંત્ર બન્યું હાંસીને પાત્ર, રોડ પરથી કાર હટાવડાવ્યા વગર જ કરી નાખ્યું રિ-સરફેસિંગ..
રસ્તાની સાઈડમાં પાર્ક કરેલ કારને હટાવડાવવાની તસ્દી લીધા વિના બાકીનો રસ્તો રિસરફેસ કરી દેવાયો
અમદાવાદ મ્યુનિ.માં માત્ર રસ્તાના ખાડા પૂરી રિસરફેસ કરવા તથા પુન: રસ્તા બનાવવા રૂપિયા 250 કરોડ કરતાં પણ વધુનો ખર્ચ કરવાનો તાજેતરમાં જ નિર્ણય લેવાયો છે, પરંતુ અધિકારીઓની દેખરેખના અભાવે રસ્તાના કામોમાં કોન્ટ્રાક્ટરો બેફામ લાલિયાવાડી ચલાવી રહ્યા છે. અમદાવાદના સરદાનગર વિસ્તાર નજીક એક રસ્તા પર કરાયેલું રિ-સરફેસિંગ તેનો તાજો દાખલો છે. અહીં રસ્તા રિસરફેસ માટે આવેલ કારીગરોએ આસપાસ પાર્ક કરેલી 2 કારને છોડી રસ્તો બનાવી નાખ્યો અને આ ફોટો વાયરલ થતા AMC તંત્ર હાંસીને પાત્ર બન્યું છે.
સરદારનગરમાં પોલીસ લાઇનથી એરપોર્ટ દીવાલ તરફ જતાં રોડના રિ-સરફેસિંગની કામગીરી કરાઈ હતી. પરંતુ રસ્તાની સાઈડમાં પાર્ક કરેલ કારને હટાવડાવવાની તસ્દી લીધા વિના બાકીનો રસ્તો રિસરફેસ કરી દેવાયો હતો. એટલે કે, કાર ઉભી હતી તે સિવાય જગ્યાએ નવો રસ્તો બનાવી દેવાયો હતો. રસ્તો પૂર્ણ થયા બાદ પણ કોન્ટ્રાકટર કે, કોઈ કારીગરની નજર ના પડી અને જ્યા કાર પાર્ક કરેલ હતી, ત્યાં ખાડા તેમના તેમ રહી ગયા હતા. જેના કારણે સ્થાનિકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. આમ AMC તંત્રની ફરી એકવાર લાલીયાવાડી સામે આવતા લોકોમાં રોષ ફેલાયો છે.