ભરૂચ : દેવલાની પરિણીતાએ સાડી વડે ગળા ફાંસો ખાઇ આપઘાત કરતાં ચકચાર

Update: 2021-01-12 09:13 GMT

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેવલા કુંભાર ફળિયામાં રહેતી પરિણીતાને તેના પતિ અને સસરા અવાર નવાર શારીરીક તથા માનસિક ત્રાસ આપતા હોવાથી તેણીએ તેના ઘરમાં આવેલ માળીયાના લાકડા સાથે સાડી બાંધી સાડી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ સંદર્ભમાં પરણિતાના પિયર પક્ષવાળાએ આક્ષેપ કરતાં પતિ અને સસરા વિરૂધ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રીય માહિતી અનુસાર જંબુસર તાલુકાના દેવલા ગામે રહેતા અશ્વિન વાળંદના લગ્ન ભાડભૂત ખાતે રહેતી જાગૃતિબેન સાથે થયાં હતાં અને તેમને સંતાનમાં એક વર્ષનો છોકરો છે. સાસુ એક વર્ષ પહેલાં મરણ પામ્યાં હતાં. સાંજના સુમારે જાગૃત્તિના સસરા રતિલાલનો ફોન આવેલ કે જાગૃતિને બીપી વધી ગયેલ છે અને તેનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં પિયરપક્ષના લોકો દેવલા ગામે દોડી આવ્યાં હતાં. મૃતક જાગૃતિના હાથ તથા ગળાના ભાગે લાલ ચાઠા દેખાતા હતા જેથી સસરા રતિલાલ ને પુછતા તેમણે જણાવેલ કે દીકરો અશ્વિન દુકાનમાં કામ ઉપર ગયેલો તથા હું પણ ઘરની બહાર ગયેલો સાડા છ વાગ્યે ઘરે આવતા ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો.

પાછળના ભાગે જઇ ઘરમાં આવેલ અને જોયું તો જાગૃતિ માળીયાના લાકડા સાથે સાડી વડે ગળા ફાંસો ખાઇ લટકેલી હતી તેમ જણાવ્યું હતું. જાગૃતિના સસરા અને પતિ અશ્વિન તેને શારીરિક માનસિક ત્રાસ આપી મારઝુડ કરતા હતા તેમ જાગૃતિ જ્યારે પણ ભાડભૂત આવતી ત્યારે અવારનવાર જણાવતી હતી. પરંતુ તેના એક વર્ષના સંતાનને લઈ કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી. બનાવ સંદર્ભમાં જાગૃતિના પરિવારજનોએ જંબુસર પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News