ભરૂચ: મક્તમપુર ગામમાં છેલ્લા ઘણાં દિવસથી પીવાના પાણીનો થાય છે વેડફાટ

Update: 2019-05-21 13:06 GMT

ભરૂચ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી પાણી માટેની વિકટ સમસ્યા ઊભી થઈ છે. ત્યારે હાલ લોકોને પીવા માટે પૂરતું પાણી નથી મળી રહ્યું. ભરૂચ નગરપાલિકામાં દરરોજ પાણીની રજૂઆતો કરવા માટે લોકટોળા ભેગા થાય છે. પાલિકા પ્રમુખ સમક્ષ આવી લોકો પોતાને પીવા તેમજ ઘર વપરાશ માટે પાણી મળી રહે તેવા દુખડા પોકારે છે.

સરકાર દ્વારા રાજયભરમાં પીવાના પાણી માટેની વિવિધ યોજનાઓ પણ અમલમાં લાવવામાં આવી છે. જેના ભાગરૂપે સ્વજલધારા યોજના અંતર્ગત ભરૂચના મક્તમપુર ગામ સ્થિત બોરભાઠા બેટમાં પીવાના મીઠા પાણીની ટાંકી બનાવવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસથી આ ટાંકીના સંપમાંથી હજારો લિટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. સંપના ઉપરના ભાગેથી પાણી ઓવર ફ્લો થઈ રસ્તા ઉતરી આવ્યું છે. પાણીના વધુ પડતાં બગાડને કારણે આહિના સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હાલ ભરૂચ નગરપાલિકાનું તંત્ર આ પાણીના બગાડને અટકાવી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લોકમાંગ ઉઠી છે.

તો બીજી તરફ ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય સોનીએ મીડિયાને જણાવ્યું હતું કે, મક્તમપુર ગામમાં થઈ રહેલા પાણીના બગાડ અંગે વહેલી તકે સમારકામ કરાવી આ સમસ્યાનું નિરાકરણ લાવી તકેદારી રાખવામા આવશે. વધુમાં અહી જરૂર જણાશે તો સિક્યુરિટી ગાર્ડ પણ મૂકવામાં આવશે, જેથી કરીને આવનારા સમયમાં સ્થાનિક રહીશો તેમજ પાલિકા તંત્રને આવી સમસ્યાનો સામનો ફરીવાર ન કરવો પડે.

Tags:    

Similar News