ભરૂચ: તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા જવું હશે તો ચંદ્રની ધરતી પરથી પસાર થવું પડશે !

વૈશ્વિક પ્રોજેકટને જોડતા માર્ગની જ અત્યંત બિસ્માર હાલત

Update: 2022-07-28 15:04 GMT

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગની અત્યંત બિસ્માર હાલત

ભરૂચની મૂલદ ચોકડીથી માર્ગની અત્યંત બિસ્માર પરિસ્થિતી

ધૂળીયા માર્ગના કારણે વીઝીબ્લીટી ઝીરો

તંત્રને માર્ગના સમારકામમાં રસ નથી

માર્ગ પર વાહન ક્યાં ચલાવવું એ વિચારવું પડે

પી.એમ.મોદીના સ્વપ્ન સમાન સ્ટેચ્યું ઓફ યુનિટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી અહી જતાં પ્રવાસીઓ ઉપરાંત આસપાસના ગામના લોકો હલાકીનો સામનો કરી રહ્યા છે. વૈશ્વિક પ્રોજેકટને જોડતા માર્ગની જ અત્યંત બિસ્માર હાલત થઈ છે

દેશ અને રાજ્યના ગૌરવ સમાન સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાતે દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે પરંતુ આ પ્રવાસીઓએ સ્ટેચ્યું ઓફ યુનિટી સુધી જવા માટે લખંડના ચણા ચાવવા પડી રહ્યા છે અને આનું એક માત્ર કારણ છે સ્ટેચ્યું ઓફ યુનિટીને જોડતો માર્ગ...ભરૂચ નજીકની મૂલદ ચોકડીથી સ્ટેચ્યું ઓફ યુનિટીને જોડતું અંતર 80 કી.મી.નું છે પરંતુ આ 80 કી.મી.ના અંતરમાંથી 60 કી.મી.નો માર્ગ અત્યંત બિસ્માર છે ત્યારે કનેક્ટ ગુજરાતની ટીમ દ્વારા આજરોજ આ માર્ગની મુલાકાત લેવામાં આવી હતી અને રિયાલીટી ચેક કરવામાં આવ્યું હતું. મૂલદ ચોકડીથી શરૂ કરીને ઝઘડીયાના ઉમલ્લ સુધીનો માર્ગ ઠેર ઠેર બિસ્માર છે જેના કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કેવડીયામાં બનેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની કનેકટીવીટી વધારવા માટે રાજપીપળાથી અંકલેશ્વરના સ્ટેટ હાઇવેને ફોર લેન બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી ઝઘડીયા તાલુકામાં રસ્તાની કામગીરી પર બ્રેક વાગી જતાં રસ્તો બે વર્ષમાં ખખડધજ બની ગયો છે. ઉમલ્લાથી હરીપુરાની વચ્ચે બે કીમીનો માર્ગ તો અત્યારે ખેતરોમાં ખેડાણ થતું હોય તેવો લાગી રહયો છે. ખાસ કરીને ગુમાનદેવ, ભુંડવા ખાડી, માધુમતી નદી સહિતના અનેક સ્થળોએ હજી બ્રિજની કામગીરી અધુરી છે. છેલ્લા બે વર્ષથી દર ચોમાસામાં રસ્તાની હાલત એટલી બદતર બની જાય છે કે તેના પરથી વાહનો પસાર કરવા મુશ્કેલ બની જાય છે.આ બાબતે વાહનચાલકોએ સરકાર પર રોષ ઠાલવ્યો હતો અને માર્ગના સમારકામની કામગીરી ત્વરિત શરૂ કરવામાં આવે એવી માંગ કરી હતી

ઝઘડીયા તાલુકામાં સ્ટેટ હાઇવેના રીપેરીંગ પાછળ જ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવ્યો છે. રસ્તો નવો બનાવવામાં થઇ રહેલાં વિલંબથી વાહનચાલકો હાલાકી વેઠી રહયાં છે. રસ્તા પર પડેલા ખાડાઓમાં મેન્ટલ નાંખવામાં આવે છે પણ વરસાદ પડતાંની સાથે મેન્ટલ બહાર આવી જતાં ફરી સ્થિતિ જૈસે થે જેવી થઇ જાય છે.આ બાબતે અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતા તંત્ર દ્વારા માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી જેનો ભોગ સ્ટેચ્યું ઓફ યુનિટી નિહાળવા આવતા પ્રવાસીઓ સહિત આસપાસના ગામના લોકો બની રહ્યા છે.


Tags:    

Similar News