ગાંધીનગર : પુર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષે નિધન, દિગ્ગજ નેતાઓ પહોંચ્યા શ્રધ્ધાજલિ અર્પવા

Update: 2021-01-09 09:13 GMT

રાજ્યના પૂર્વ CM અને કોંગ્રેસના પીઢ નેતા માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે રવિવારના રોજ કરવામાં આવશે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપવા ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચી રહયાં છે.

ગુજરાતમાં કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ વસમી વિદાય લીધી છે. ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું શનિવારના રોજ નિધન થયું છે. 94 વર્ષની વયે તેમના અંતિમ શ્વાસ લીધા છે.તેઓ લાંબા સમયથી બિમાર હતાં. મળતી માહિતી પ્રમાણે તેમના પુત્ર ભરતસિંહ સોલંકી હાલ અમેરિકામાં છે. આવતીકાલે તેઓ રવિવારે સવારે અમેરિકાથી પરત ફરશે. ત્યારબાદ બપોરના 4 કલાકે માધવસિંહ સોલંકીની અંતિમ વિધી કરવામાં આવશે. દિલ્હીના વરિષ્ઠ નેતા આવતીકાલે ગાંધીનગર અંતિમ વિધિમાં હાજરી આપવા આવશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રી રાજ્યમાં સ્વ.માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. સ્વ. માધવસિંહ સોલંકીની અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે. વધુમાં તેમણે આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે. આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રીમંડળની બેઠક ગાંધીનગરમાં મળશે અને આ બેઠકમાં સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે. માધવસિંહ સોલંકી ખામ થીયરીના સર્જક હતાં અને વિધાનસભામાં 149 બેઠકો જીતવાનો રેકોર્ડ ધરાવે છે. આ રેકોર્ડ નરેન્દ્ર મોદી પણ તોડી શકયાં નથી.

Tags:    

Similar News