બનાસકાંઠા : વડગામના માહી ગામે ગૌચરની જમીન પચાવનાર 38 શખ્સો સામે ગુન્હો દાખલ કરવા કલેક્ટરનો આદેશ...

ટેઢુડી તળાવ, ધરોળિયું તળાવ અને પંચાયતની માલિકીની જમીનો પર 38 જેટલાં શખ્સો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું,

Update: 2022-01-24 12:17 GMT

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના માહી ગામમાં આવેલ ગૌચરની જમીન પચાવી પાડનાર 38 શખ્સો સામે ગુનો નોંધવા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા હુકમ કરાતા ખળભળાટ મચી જવા પામ્યું છે. મળતી માહિતી અનુસાર, વડગામ તાલુકાના માહી ગામમાં સર્વે નં. 234માં આવેલ ગૌચરની જમીન, ટેઢુડી તળાવ, ધરોળિયું તળાવ અને પંચાયતની માલિકીની જમીનો પર 38 જેટલાં શખ્સો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું, ત્યારે ગામના એક અરજદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ હેઠળ આ મામલે ઓનલાઇન ફરિયાદ કરવામાં આવી હતી.

તાજેતરમાં જ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં ચકાસણી અધિકારીઓના અહેવાલ મુજબ આ જમીનો પરનો કબ્જો બિનઅધિકૃત હોવાનું જણાયું હતું, ત્યારે જીલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા ગ્રામ પંચાયતના તલાટીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તમામ દબાણદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં અહેવાલ તૈયાર કરી 7 દિવસમાં તમામ દબાણદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે હુકમ કરાયો હતો, ત્યારે આ ગૌચરની જમીન સહીત સરકારી જમીનો ઉપર દબાણો કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Tags:    

Similar News