ભાવનગર : સિહોર આરોગ્ય મેળામાં લાભાર્થીઓએ જુદી-જુદી યોજનાનો લાભ લીધો

ગુજરાતભરમાં ગઈકાલથી દરેક તાલુકા સ્તરે બ્લોક હેલ્થ મેળાઓની શરૂઆત કરવામાં આવી છે.

Update: 2022-04-20 08:54 GMT

ગુજરાતભરમાં ગઈકાલથી દરેક તાલુકા સ્તરે બ્લોક હેલ્થ મેળાઓની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લાના સિહોર ખાતે બ્લોક હેલ્થ આરોગ્ય મેળાનું આયોજન સિહોર ખાતે કરવામાં આવ્યું હતું.

ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલે આ આરોગ્ય મેળાનો શુભારંભ કરાવતા જણાવ્યું કે, ભાવનગરનું આરોગ્ય તંત્ર પૂરી નિષ્ઠાથી કામગીરી કરી રહ્યું છે. ભાવનગર જિલ્લાના આરોગ્ય તંત્રની પ્રસંશનીય કામગીરીને લીધે ભાવનગર જિલ્લાના ગામડાના છેવાડાના વિસ્તારો સુધી આરોગ્ય સેવાઓનું ફલક પહોંચી ચૂક્યું છે. સિહોર ખાતે આરોગ્ય મેળાનું આયોજન કરીને અનેક લોકોની આરોગ્ય, પોષણ, આયુર્વેદિક સારવાર કરવામાં આવનાર છે, તે પ્રશંસનીય છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. સિહોર પાલિકાના પ્રમુખ વી.ડી.નકુમે છેવાડાના માનવીને મદદરૂપ થવાનાં સરકારના પ્રયત્ન વિશે વિશદ છણાવટ કરીને કેવી રીતે આરોગ્ય મેળા ગ્રામ્ય વિસ્તારના લોકો માટે ઉપયોગી બની રહ્યા છે,

તેની વિસ્તૃત વાત કરી હતી. સિહોર ખાતે યોજાયેલા બ્લોક કક્ષાના આરોગ્ય મેળામાં ૩૪૮ લાભાર્થીઓએ જુદી જુદી યોજના હેઠળ લાભ મેળવ્યો હતો. આ આરોગ્ય કેમ્પમાં ડાયાબિટીસના ૩૭, ચામડીના ૨૪, બિનચેપી રોગોના ૧૬, સ્ત્રી રોગના ૧૦, આંખના ૨૭, કુટુંબ નિયોજનના ૧૫, આયુર્વેદિકના ૪૩, હોમિયોપેથીના ૩૧ લાભાર્થીઓ, લેબોરેટરીમાં ૪૮ દર્દી, તરૂણીઓને માર્ગદર્શન અને તપાસ, પી.એમ.જે.વાય.માં કાર્ડના ૧૭૪ લાભાર્થીઓને નવા કાર્ડ અને ૮૫ને નવા કાર્ડ રીન્યુ કરવામાં આવ્યા હતા. સર ટી. હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા જરૂરી તબીબી સારવાર અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News