આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, ગુજરાત ક્રોસ કરીને અરબ સાગરમાં 'ગુલાબ' વાવાઝોડું સક્રિય

ગુલાબ વાવાઝોડાની અસરને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ ઊભી થઈ છે

Update: 2021-09-30 04:43 GMT

ગુલાબ વાવાઝોડાની અસરને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ ઊભી થઈ છે. જોકે, હવે ગુલાબ વાવાઝોડાની સિસ્ટમ નબળી પડી છે. હાલ આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈને અરબી સમુદ્રમાં સક્રિય છે. તેમજ વેલ માર્ક પ્રેશર ઊભું થયું હતું તે હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. જેની અસરને પગલે આજે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. જ્યારે દીવ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. એક સારા સમાચાર એવા પણ મળી રહ્યા કે આ વર્ષે નવરાત્રી દરમિયાન વરસાદ પડવાની શક્યતા નહિવત છે.

હાલ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય હોવાને પગલે દરિયા કિનારાના વિસ્તારોમાં 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આવતીકાલે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. બીજી તરફ આવતીકાલથી જ રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે

બીજી તરફ ખેલૈયાઓ માટે સારા સમાચાર છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષે નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યમાંથી હવે ધીમે ધીમે ચોમાસું વિદાય લશે. જોકે, પાછોતરો કમોસમી વરસાદ પડવાની પણ શક્યતા હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.

રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 92.88% વરસાદ પડી ગયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં 111.75% વરસાદ પડ્યો છે. જ્યારે કચ્છમાં 104.75% વરસાદ પડી ગયો છે. ઉત્તર ગુજરાતમાં 71.34% તો દક્ષિણ ગુજરાતમાં 91.99% વરસાદ પડ્યો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 82.84% વરસાદ પડ્યો છે.

'ગુલાબ' વાવાઝોડાની અસરને પગલે રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે 'શાહીન' નામનું એક વાવાઝોડું ચિંતા વધારી શકે છે. લોકોમાં ચિંતા થઇ રહી છે. આ તોફાન ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે ચિંતાનું કારણ બની શકે છે. જોકે, અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, "ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે અથડાયેલા 'ગુલાબ' વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું 'શાહીન' સર્જાઈ રહ્યું છે. અરબ સાગરમાં શાહીન નામનુ વાવાઝોડું બની રહ્યું છે. આ સાઇક્લોન બનશે તો નામ શાહીન રહેશે. સાઇકલોન બની જાય તો પણ ગુજરાતના માથે કોઈ મોટું સંકટ નથી."

ભરૂચમાં 11 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. અમરેલીના જાફરાબાદ અને જૂનાગઢના માંગરોળમાં પણ આશરે 11 ઇંચ વરસાદ પડ્યો છે. આ દરમિયાન રાજ્યના 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 110 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. જ્યારે 50 એવા તાલુકા છે જ્યાં 2 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં 11 તાલુકા એવા છે જ્યાં ચાર ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે.

Tags:    

Similar News