કચ્છ : ઘૂડખર અભયારણ્યને કોરોનાનું "ગ્રહણ"; 16 જૂનથી ચાર માસ માટે પ્રવાસીઓ માટે સદંતર 'બંધ'

Update: 2021-06-09 10:56 GMT

રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા કચ્છના બજાણા ઘૂડખરની છેલ્લે કરાયેલી ગણતરી અનુસાર સંખ્યા 6082 નોંધાઇ હતી. ત્યારે રક્ષિત પ્રાણી ઘૂડખરોનો બ્રિડીંગનો સમયગાળો હોવાથી આગામી 16 જૂનથી ઘૂડખર અભયારણ્યમાં તમામ માટે પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડી દેવાયું છે. ઘૂડખર અભયારણ્ય 16 જૂનથી 15 ઓક્ટોબર-2021 સુધી ચાર મહિના તમામ વ્યક્તિઓ કે પ્રવાસીઓ માટે બંધ રહેશે. 22 માર્ચ 2020થી 'જનતા કરફ્યુ'થી બંધ થયેલું ઘૂડખર અભયારણ્ય 15 ઓકટોબર 2021 સુધી તો ખુલી શકે એમ જ નથી. આથી ઘૂડખર અભયારણ્યને વર્ષ 2020- 2021માં કોરોનાનું "ગ્રહણ" હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે.

લોકબોલીમાં ઘૂડખર તરીકે ઓળખાતા અને ધરતી પર નામશેષ થવાની અણી પર આવી ગયેલા જંગલી ઘૂડખરના રક્ષણ માટે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ 1973માં કચ્છના રણના 4954 ચોરસ કિ.મી.વિસ્તારને ઘૂડખર અભયારણ્ય તરીકે રક્ષિત કરવામાં આવ્યો હતો. પોતાની અસાધારણ ગતિ અને જોમ માટે જાણીતું આ વેગવાન પ્રાણી પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટૂંકા અંતર માટે 70 કિ.મી. પ્રતિ કલાકની મહત્તમ ગતિથી દોડી શકે છે. વધુમાં ઉષ્ણતામાનમાં થતા 1 ડીગ્રી સેલ્સીયસથી માંડીને 50 ડીગ્રી સેલ્સિયસ જેટલા ફેરફારો અને અત્યંત વિષમ વાતાવરણીય પરિસ્થિતિઓમાં પણ આ પ્રાણી અસ્તિત્વ ટકાવી રાખવાની ક્ષમતા ધરાવે છે.

ચોમાસાની સીઝન શરૂ થતા દુર્લભ ઘૂડખર માટે બ્રીડીંગનો સમયગાળો શરૂ થાય છે. આથી રણમાં મીઠું પકવતા અગરિયાઓ અને મીઠા કામદારો સહિત તમામ વ્યક્તિઓ અને પ્રવાસીઓ માટે ઘૂડખર અભયારણ્યમાં પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. આથી તા.16/06/2021થી તા.15/10/2021 સુધી ચાર મહિના માટે ઘૂડખર અભયારણ્યમાં કોઇને પણ પ્રવેશવાની પરવાનગી આપવામાં આવશે નહીં, છતાં કોઇ વ્યક્તિ કે પ્રવાસી આ રક્ષિત વિસ્તારમાં પ્રવેશ કરશે તો અભયારણ્ય વિભાગ દ્વારા વન્ય સંરક્ષણ ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરાશે.

ઘૂડખર અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનીલભાઇ રાઠવાએ જણાવ્યુ હતું કે, "ચાલુ વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર ચાર મહિના સુધી ગુજરાતના તમામ 27 અભયારણ્યમાં પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડી દેવાયું છે. આ સમયગાળો દુર્લભ ઘૂડખર માટે સંવનન-બ્રિડીંગનો સમયગાળો હોવાથી અભયારણ્ય બંધ રખાય છે."

Tags:    

Similar News