નર્મદા : સાંસદ મનસુખ વસાવાએ ઉઠાવ્યો લવ જેહાદનો મુદ્દો, તો વિદેશમાંથી મળી ધમકી
ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં લવ જેહાદના કાયદાની માંગણી કરનારા ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાને વિદેશમાંથી ધમકી મળ્યાં બાદ તેમની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
ભરૂચના ભાજપના સાંસદ અને પોતાનું રાજીનામુ માત્ર 24 કલાકમાં પાછુ ખેંચી લેનારા મનસુખ વસાવાની સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. થોડા સમય અગાઉ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ ‘લવ જેહાદ’નો કાયદો બનવો જોઈએ. જેથી કોઈ હિંદુ યુવતી ‘લવ જેહાદ’ જેવા ષડ્યંત્રનો ભોગ ન બની શકે. વિદેશી તાકાતોના ઈશારે કેટલાક લઘુમતી યુવાનો દ્વારા દેશની હિંદુ યુવતિઓને ફસાવવાનું ષડ્યંત્ર આખા દેશમાં ચાલી રહ્યું છે.
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ‘લવ જેહાદ’નો આ મુદ્દો ઉઠાવતા ખળભળાટ મચ્યો હતો. બીજી તરફ ભાજપના જ લઘુમતી મોરચાના કાર્યકરોમાં પણ રોષ ફેલાયો હતો. હવે ભાજપ સાંસદ મનસુખ વસાવાને ‘લવ જેહાદ’ના મુદ્દે વિદેશમાંથી અને ગુજરાતમાંથી અમુક સંગઠનોના નામે ધમકીઓ મળી રહી છે. મનસુખ વસાવાના જીવ સામે જોખમ ઉભું થતાં રાજપીપલા ખાતે આવેલાં તેમના નિવાસસ્થાને 1 પોલીસ જવાન અને 2 હોમગાર્ડ જવાનો તૈનાત કરી દેવાયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ તેમણે આદિવાસી સમાજના ખોટા પ્રમાણપત્રોનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે પણ તેમને ધમકીઓ મળી હતી..