નર્મદા : 13 ગેટ બંધ કરી નદીમાં છોડાતું પાણી ઘટાડાયું, પાણી છોડાતા ડેમની સપાટી ઘટી
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ગુરૂવારના રોજ 138.68 મીટરની પુર્ણ સપાટીએ ભરાયો હતો. ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતાં 23 ગેટ ખોલી નર્મદા નદીમાં પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી. ગુરૂવારથી પાણી છોડાતાં શુક્રવારના રોજ ડેમની સપાટીમાં 0.42 મીટરનો ઘટાડો થયો હતો.
ગુરૂવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદીવસ હોવાથી સરદાર સરોવર નર્મદા ડેમને તેની 138.68 મીટરની પુર્ણ સપાટી સુધી ભરવામાં આવ્યો હતો. સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી પાણીનો આવરો ચાલુ રહેતાં ગુરૂવારે નર્મદા ડેમના 23 ગેટ ખોલી નદીમાં પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી. શુક્રવારે સવારના સમયે નર્મદા ડેમની સપાટી 138.26 મીટર નોંધાય હતી. એટલે કે ગઇકાલની સરખામણીમાં ડેમની સપાટીમાં 0.42 મીટરનો ધટાડો થયો છે. હાલ ઉપરવાસમાં 78 હજાર કયુસેક પાણી આવી રહયું છે જેની સામે રીવર બેડ પાવર હાઉસના ટર્બાઇન અને ડેમના 10 ગેટમાંથી 1.09 લાખ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહયું છે. આમ નર્મદા ડેમ ખાતે હાલ પાણીની આવક સામે જાવક વધારે હોવાથી ડેમની સપાટીમાં ઘટાડો થઇ રહયો છે.