નવસારી : “બેન્ડ બાજા બારાત” પૈકી માત્ર “બારાત”ને જ પરવાનગી કેમ..? જુઓ સંગીત કલાકારોનો અનોખો વિરોધ..!
લગ્ન અને વિવિધ શુભ પ્રસંગોએ ડાન્સ કરવા મજબૂર કરતા સંગીતના વ્યવસાય સાથે જોડાયેલા 200થી કલાકારોના વ્યવસાયને પણ કોરોનાનું ગ્રહણ નડ્યું છે. તેવામાં સંગીતના વ્યવસાય સાથે સંકળાયેલા કલાકારોએ પોતાના સાધનો વેચવા કાઢી બેદરકાર તંત્રની નીતિ સામે અનોખી રીતે વિરોધ કર્યો હતો.
કલાકારોને સરસ્વતી પુત્રો કહેવાય છે. પરંતુ આ કલાકારોને પોતાની માંગ સંતોષાય તે માટે રસ્તે રઝળવાનો વારો આવ્યો છે. સરકારે અર્થતંત્રને પાટા પર લાવવા મોટા ભાગના વ્યવસાયોને શરતી છૂટછાંટ આપી છે. પંરતુ તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવતા ડી.જે સહિત બેન્ડ અને ઓરકેસ્ટ્રાના વ્યવસાયમાં કાર્યરત કલાકારોના ઢોલ, ડ્રમ અને કીબોર્ડ સાથે ઘરના ચૂલા પણ લોકડાઉનથી જ શાંત થઈ ગયા છે, ત્યારે બેન્ડ બાજા અને બારાત પૈકી માત્ર બારાતને જ પરવાનગી મળતા તમામ લગ્ન અને પ્રસંગો નીરસ બનતા કલાકારો નાછૂટકે અન્ય રોજગારીના વિકલ્પની શોધમાં જોતરાયા છે.
જોકે સંગીતના વ્યવસાય સાથે સંકળાયેલા કલાકારો માટે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. અનેક હપ્તા અને ઘરના બોજ તળે દબાયેલા કલાકારોએ વહીવટી તંત્રને પોતાનો વ્યવસાય શરૂ થાય તે માટે અનેકવારની રજૂઆત કરી છે, પરંતુ તેનો કોઈ ઉકેલ ન આવતા શહેરના લુન્સીકુઈ મેદાન ખાતે એકત્રિત અનેક કલાકારોએ મૌન ધરણાનો સહારો લીધો હતો. જેમાં કલાકારોએ પોતાના સાધનો વેચવા કાઢી બેદરકાર તંત્રની નીતિ સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.