નર્મદા: ચકચારી મીરા હત્યા કેસ, લગ્ન કરવાની ના કહેતા પ્રેમીએ જ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ, બીજા દિવસે મૃતદેહ જોવા પણ આવ્યો

20 વર્ષીય યુવતી મીરાબા સોલંકી એકા એક ગુમ થતા પિતા નિલેશ સોલંકીએ પુત્રી ગુમ થઈ હોવાની ફરીયાદ નોંધાવી હતી.

Update: 2022-04-23 12:02 GMT

વડોદરાની યુવતીનો નર્મદા જિલ્લાના તિલકવાડાના કેસરપુરા ગામની સીમમાંથી મૃતદેહ મળી આવવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે.4 વર્ષના સંબંધો બાદ મીરાએ લગ્ન કરવાની ના કહેતા તેના પ્રેમીએ જ ગળે ટૂંપો આપી તેની હત્યા કરી દીધી હતી.. વડોદરા શહેરના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી 20 વર્ષીય યુવતી મીરાબા સોલંકી એકા એક ગુમ થતા પિતા નિલેશ સોલંકીએ પુત્રી ગુમ થઈ હોવાની ફરીયાદ નોંધાવી હતી.

દરમિયાન મીરાબા સોલંકીની રહસ્મય સંજોગોમાં તિલકવાડા નજીક કેસરપૂરા ગામ નજીક ખેતરમાંથી લાશ મળી આવતા ચકચાર મચી હતી. તિલકવાડા પોલીસે લાશની ઓળખ કરવા માટે તપાસ હાથ ધરી હતી.નર્મદા પોલીસે મેસેજને આધારે હત્યારાને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ મેસેજ પરથી સંદીપ મકવાણા પર પોલિસને શંકા ગઈ હતી અને સંદીપને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. નર્મદા એલ.સી.બી અને તિલકવાડા પોલિસને ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી. મીરાના પરિવારજનોને પણ એવી માહિતી મળતાં તેઓ પણ ત્યાં પહોંચી ગયા હતા.

જો કે નર્મદા એલ.સી.બી અને તિલકવાડા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સંદિપ મકવાણાને શંકાને આધારે 22 મી એપ્રિલે ઝડપી પાડયો હતો.પોલીસ સંદિપને લઇને મામલાની વધુ પુછપરછ કરતા સંદીપ મકવાણાએ હત્યા કરી હોવાનું કબૂલ્યુ હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃટ્ક અને આરોપી સંદીપ વચ્ચે છેલ્લા 4-5 વર્ષથી સંબંધ હતો અને સંદીપ તેની સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ મૃતકે લગ્ન કરવાની ના કહેતા તેને વડોદરાથી ફરવાના બહાને લઈ આવી તેની દુપટ્ટા વડે હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા બાદ આરોપી બીજા દિવસે મીરાનો મૃતદેહ જોવા પણ આવ્યો હતો ત્યાર બાદ વેશપલટો કરી પોલીસથી બચવા પ્રયાસ કર્યો હતો જો કે પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Tags:    

Similar News