વડોદરા: દિવાળીની રાતે ફટાકડા ફોડવા બાબતે પાણીગેટ વિસ્તારમાં કોમી છમકલુ, પોલીસે 19 લોકોની કરી અટકાયત

તોફાનીઓએ દિવાળીની રાત્રે આખો વિસ્તાર બાનમાં લીધો હતો. ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે બબાલ કરી હતી

Update: 2022-10-25 09:43 GMT

વડોદરામાં દિવાળીની રાત્રે જ 1 વાગ્યા આસપાસ પાણીગેટ વિસ્તારમાં અચાનક સ્ટ્રીટ લાઇટ બંધ થઇ ગઇ હતી. ત્યાર બાદ પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. બે જૂથ વચ્ચે થયેલા પથ્થરમારામાં રોડ સાઇડમાં પાર્ક કરેલાં વાહનોને આગચંપી કરવામાં આવી હતી. જેથી પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

પાણીગેટ વિસ્તારમાં પોલીસ તોફાનને કાબૂમાં લેવી પહોંચી ત્યારે DCP ઝોન-3 યશપાલ જગાણિયા પર પોળના એક મકાનમાંથી પેટ્રોલ બોમ્બ ફેંકાયો હતો. જો કે, તેમાં તેમનો સહેજમાં બચાવ થયો હતો. પથ્થરમારાની આ ઘટના પાણીગેટ મુસ્લિમ મેડિકલથી સ્વામિનારાયણ મંદિર સુધી બની હતી. તોફાનીઓએ દિવાળીની રાત્રે આખો વિસ્તાર બાનમાં લીધો હતો. ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે બબાલ થતાં તોફાનીઓએ સમગ્ર વિસ્તારને બાનમાં લઈ લીધો હતો.

સમગ્ર વિસ્તારમાં તોફાનીઓએ આતંક મચાવ્યો હતો અને પથ્થરમારો, આગચંપી અને પેટ્રોલ બોમ્બ ઝીંક્યા હતા. જો કે, ઘટનાને પગલે પોલીસના ઘાડેઘાડા ઉતરતાં સ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી. તો ફરી છમકલું ન થાય તેના માટે પોલીસે સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વડોદરાનો પાણીગેટ વિસ્તારને કોમી રીતે સંવેદનશીલ ગણાય છે. અહીં છાશવારે છમકલાં થયાના બનાવ છે. અગાઉ ગણેશ વિસર્જન, તાજિયા જેવા પ્રસંગોએ પણ અહીં પથ્થરમારો અને આગચંપીની ઘટના સામે આવી ચૂકી છે.

Tags:    

Similar News