વડોદરા : ઢોર નિયંત્રણ પોલિસીનો અમલ શરૂ, મનપા દ્વારા રખડતાં ઢોર પકડવાની કામગીરીને વેગ...

મનપા દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાંથી રખડતાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Update: 2023-11-01 12:16 GMT

વડોદરા શહેરમાં આજથી નવી કેટલ પોલિસી એટલે કે, ઢોર નિયંત્રણ પોલિસીનો અમલ શરૂ થયો છે, મનપા દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાંથી રખડતાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

રખડતા ઢોરના આતંકને ડામવા માટે અમદાવાદમાં નવી કેટલ પોલિસી અમલમાં મુકાઈ છે, ત્યારે અમદાવાદ બાદ હવે વડોદરા શહેરમાં પણ ઢોર નિયંત્રણ પોલિસીનો આજથી અમલ શરૂ થયો છે. વડોદરા મનપાએ હાઈકોર્ટની સૂચના મુજબ માર્ગદર્શિકા બનાવી છે. જેમાં રખડતાં ઢોરથી જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થશે તો રૂ. 5 લાખનું વળતર અને ઈજાગ્રસ્તો મેટ રૂ. 50 હજારનું વળતર જે તે પશુપાલકો પાસેથી વસૂલ કરવામાં આવશે. અને જો, પશુમાલિક 3 વખત પકડાશે તો તેના વિરુદ્ધ બિનજામીન પાત્ર ગુનો પણ નોંધવામાં આવશે, ત્યારે વડોદરા મનપા દ્વારા અલગ અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાંથી રખડતાં ઢોરને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ તમામ ટીમ સાથે ચુસ્ત પોલીસ બંધોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો છે. પ્રથમ દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી 11 ગાય પકડવામાં આવી હતી. તો બીજી તરફ, વારસિયા વિસ્તારમાં મનપાની કામગીરી દરમ્યાન પશુ માલિકોએ હોબાળો મચાવ્યો હતો. નવી કેટલ પોલીસીનો અમલ કરતાં પહેલાં માલધારીઓને શહેર બહાર માલધારી વસાહત ફાળવવામાં આવે તેવી પશુ માલિકો માંગ કરી રહ્યા છે. વર્ષો પહેલા કોર્પોરેશનમાં રૂપિયા ભર્યા હોવ છતાં જમીન ફાળવાઇ ન હોવાનો પણ પશુ માલિકોએ આક્ષેપ કર્યો હતો.

Tags:    

Similar News