અંકલેશ્વર : આડેધડ પાર્કિંગ અને પથારાવાળાનો અડિંગો, જુઓ ટ્રાફિકના કેવા થાય છે હાલ
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં અંકલેશ્વરના ત્રણ રસ્તા વિસ્તારમાં આડેધડ પાર્કિંગ અને પથારાવાળાઓના દબાણના કારણે ટ્રાફિક સમસ્યા વકરી છે.
અંકલેશ્વરનાં ત્રણ રસ્તા સર્કલ નજીક જાણે કે દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વકરી રહી હોવાથી લોકો હાલાકી વેઠી રહયાં છે. ફુટપાથ પર પથારાવાળાઓ અડીંગો જમાવી દે છે તથા ખરીદી માટે આવતાં લોકો ગમે ત્યાં વાહનો પાર્ક કરી જતાં રહેતાં હોવાથી અન્ય વાહનચાલકો અને રાહદારીઓ હાલાકીનો ભોગ બની રહયાં છે.
આ વિસ્તારમાં બરાબર સામે જ રસ્તા વચ્ચે પોલીસનાં જવાનો ઉભા રહે છે તેમ છતાં આ વિસ્તારમાં ટ્રાફિક નિયમન બરાબર થતું નથી. ટ્રાફિકનાં કારણે અનેક વાહન ચાલકો ફસાઈ જતા હોય છે અને ઇમરજન્સી વાહનોને પણ પસાર થવામાં અડચણો નડતી હોય છે. ફુટપાથ પર બેસતાં પથારાવાળા પણ પોતાની નૈતિક ફરજ સમજી વધુ ટ્રાફિક ન વકરે તે પ્રકારે પોલીસ તંત્રને પણ મદદરૂપ થાય તેવી લોક માંગ ઉઠી છે.