ભરૂચ : ભોલાવના ઇન્દિરાનગરમાં ગટર તો બની પણ સફાઇની નથી લેવાતી તસ્દી, જુઓ લોકોના કેવા છે હાલ
ભરૂચના ભોલાવ ગામમાં આવેલ ઇન્દિરા નગર આવાસના રહીશો નર્કાગાર જેવી પરિસ્થિતિમાં જીવન વ્યતિત કરી રહ્યા છે. ગટરનું દૂષિત પાણી ઉભરાયને માર્ગ પર ફરી વળતાં 80 જેટલા પરિવારો અત્યંત કફોડી પરિસ્થિતીમાં મુકાયા છે.
સ્વરછ ભારત અભિયાનની મોટી ગુલબાંગો વચ્ચે આ દ્રશ્યો છે વિકાસશીલ ભરુચ શહેરને અડીને આવેલ ભોલાવ ગામના. તંત્ર દ્વારા ઇન્દિરા નગર આવાસમાં ગટર તો બનાવી દેવામાં આવી હતી પરંતુ સાફ સફાઈ ન કરાતા છેલ્લા કેટલાય સમયથી ગટરનું દુષિત પાણી માર્ગ પર ફરી વળે છે અને નજીકમાં રહેતા 80 જેટલા પરિવારોએ નર્કાગાર જેવી પરિસ્થિતિમાં જીવન જીવવાનો વારો આવ્યો છે.ગટરના પાણી માર્ગ પર ફરી વળતા વૃધ્ધો અને બાળકો ઘરની બહાર નીકળી શકતા નથી તો એક યુવાન આ સ્થિતિના કારણે પડી જતાં તેને પગમાં ફેકચર થયું છે. દુષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત છે.સ્થાનિકોના આ ક્ષેપ અનુસાર આ પ્રકારની સ્થિતિ છેલ્લા 6 માસથી છે અને ગ્રામ પંચાયતમા વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે આમ છતા પ્રશ્નનું કોઈ નિરાકરણ આવ્યું નથી ત્યારે તંત્ર વહેલી તકે ગ્રામજનોના પ્રશ્નનું નિરાકરણ લાવવા ચોક્કસ કામગીરી કરે એ જરૂરી છે.