અંકલેશ્વરના મોતાલી ગામ નજીકથી મળી આવેલ મેડિકલ ઓફિસરના મૃતદેહના મામલામાં તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે
ભરૂચના ચાવજ ગામના માંગલ્ય બંગલોઝ ખાતે રહેતા 42 વર્ષીય રાજેશ સિંધા ભરૂચ તાલુકાના ઝનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં હતા જેઓની ગડખોલ આરોગ્ય કેન્દ્રમાં બદલી થઈ હતી જેઓ ગત તારીખ-14મી મેના રોજ નોકરી ઉપર જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા.જેઓ પરત નહિ ફરતા પરિવારજનોએ તેઓની ભારે શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન તબીબનો મૃતદેહ અંદાડા-સામોરથી મોતાલી ગામ તરફ જવાના રોડની પરથી મળી આવ્યો હતો.
આ અંગેની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહની તપાસ કરતાં લાયસન્સ અને આઇડી કાર્ડ મળતાં તેની ઓળખ રાજેશ સિંધા તરીકે થઇ હતી.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.આ તરફ એફ.એસ.એલ.રિપોર્ટમાં મેડિકલ રિપોર્ટમાં મેડિકલ ઓફિસરની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે.બોથડ પદાર્થ વડે મારમારી તેમની હત્યા કરાય હતી.બી ડિવિઝન પોલીસે મેડિકલ ઓફિસરની પત્નીની ફરિયાદના આધારે ગુનો નોંધી હત્યારાઓને શોધવાની તજવીજ હાથ ધરી છે
