ભરૂચ : ઝઘડીયાની બોરોસીલ કંપનીમાં લાગી હતી આગ, જાણો કોણે ઘડ્યું હતું કારસ્તાન..!
ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ બોરોસીલ કંપનીના બિલ્ડીંગ તેમજ વેર હાઉસમાં અચાનક આગ લાગતા લાખો રૂપિયાના માલસામાનને નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, ઝઘડીયા જીઆઈડીસી ખાતે આવેલ બોરોસીલ કંપનીમાં થોડા દિવસ અગાઉ વેર હાઉસ તેમજ પેપર કટિંગ યાર્ડ અને ફ્લોર ઓફિસના એરિયામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જોકે આગ લાગવાનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ આગની ઘટનાના સીસીટીવી કેમેરા ચેક કરાતા તેમાં એક ઇસમ દ્વારા આગ લગાડી હોવાનું જાણવા મળ્યું હતું.
જોકે આગના બનાવમાં કુલ 21 નંગ બ્રાઉન પેપર રોલ જેની કિંમત 7,56,000/- રૂપિયાનું નુકશાન થયુ હતું. જે બાદ આગ લગાડનાર ઇસમની સીસીટીવીમાં ઓળખ થતાં નર્મદા જિલ્લાના નવાપરા નિકોલી પ્રતાપનગરનો રહેવાસી જતીન વસાવા હોવાનું બહાર આવ્યુ હતું, ત્યારે તેની કંપની મેનેજમેન્ટ દ્વારા પુછપરછ કરતા કંપનીને નુકશાન કરવાના આશયથી આગ લગાડી હોવાનું કબૂલ્યું હતું . ત્યારબાદ કંપનીના સિક્યુરિટી સુર્યા પ્રસાદ દ્વારા જતીન વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે ફરિયાદના આધારે ઝઘડીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.