ભરૂચ : નારાયણ નગર – 4માં રસ્તાની કામગીરી અધુરી, જુઓ સ્થાનિકોએ શું આપી ચીમકી
ભરૂચ નગરપાલિકાની ચુંટણીના પડઘમ વાગી રહયાં છે ત્યારે હવે મતદારો નગરસેવકોના કાન આમળી રહયાં છે. શહેરની નારાયણ નગર- 4 સોસાયટીમાં રસ્તા સહિતના વિકાસકામો અધુરા છોડી દેવાતાં સ્થાનિક રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે અને તેમણે નગરપાલિકાને ઘેરાવો કરવાની ચીમકી આપી છે.
રાજયમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઇ શકે છે. હવે નગરસેવકો મત માંગવા આવે તે પહેલાં મતદારો પણ જાગૃત બની ગયાં છે. ચુંટણી પહેલાં વિકાસના કામો શરૂ કરાવી વાહવાહી લુંટનારા નગરસેવકો કામ સમયસર પુરા થયાં કે નહિ તે જોવાની તસ્દી લેતાં નથી. ભરૂચ શહેરની નારાયણ નગર – 4 સોસાયટીમાં પણ કઇ આવું જ બન્યું છે. સોસાયટીમાં રસ્તા સહિતના વિકાસના કામો મોટા ઉપાડે શરૂ કરી દેવાયાં હતાં પણ તે હજી સુધી પુરા થયાં નથી.
અધુરા કામો અંગે સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો છે. સ્થાનિક રહીશોએ રસ્તા પર ઉતરી આવી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, જો પાંચ દિવસમાં કામગીરી પુરી કરવામાં નહિ આવે તો નગરપાલિકાની કચેરીનો ઘેરાવો કરીશું અને આગામી ચુંટણીમાં મતદાન પણ નહિ કરવામાં આવે…