ભરુચ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીનું નિવેદન : નેત્રંગની આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકોથી નહીં રહે વંચિત
ગતરોજ કનેક્ટ ગુજરાતમાં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ તંત્રનો સળવળાટ શરૂ થયો છે. ભરુચ જિલ્લાના નેત્રંગ તાલુકા ચાસવડમાં આવેલ ૬ જેટલી આશ્રમ શાળાઓની કનેક્ટ ગુજરતની ટીમે જાત મુલાકાત લઈ વિધ્યાર્થી તેમજ આચાર્યની મુલાકાત દરમ્યાન અત્યાર સુધીમાં કુલ ૮૨૫ જેટલા વિધ્યાર્થીઓ પુસ્તક ન મળવાના કારણે અભ્યાસથી વંચિત રહ્યા હોવાની હકીકતો પ્રકાશમાં આવી હતી. જે અંગેનો વિસ્તારસહ સચોટ અહેવાલ કનેક્ટ ગુજરાતે પ્રસારિત કરતાં સમગ્ર તંત્ર ખળભળાટ મચી જવા પામ્યો હતો.
કનેક્ટ ગુજરાતના વિધ્યાર્થીઓના પાઠ્યપુસ્તકોથી વંચિત રહેવાના અહેવાલ પ્રસારીત થયા બાદ આજરોજ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીએ નિવેદન આપતા કનેક્ટ ગુજરાતને જણાવ્યુ હતું કે, અમો ચાસવડની જાત મુલાકાત લઈ જે વિધ્યાર્થીઓ પાઠ્યપુસ્તકથી વંચિત રહ્યા છે તે અંગે વિગત મંગાવી છે અને તેઓને પુસ્તકો ઉપલબ્ધ કરાવવા માટે ગાંધીનગર કચેરી ખાતે રજૂઆત કરી દીધી છે. આવનારા ટૂંક સમયમાં પાઠ્યપુસ્તકોથી વંચિત વિદ્યાર્થીઓને જરૂરી પુસ્તકો ઉપલબ્ધ કરાવી આપવામાં આવશે.