અંકલેશ્વર : પૂરના પાણી ઓસર્યા બાદ પણ કૃષ્ણનગરમાં સાફ-સફાઈનો અભાવ, રોગચાળો ફાટી નીકળવાની દહેશત..!
હાંસોટ રોડ પર મોદીનગર નજીક આવેલ કૃષ્ણનગરમાં પૂરના પાણી ઓસર્યા બાદ પણ સાફ-સફાઈ નહીં થતા સ્થાનિક મહિલાઓમાં રોષ ભભૂક્યો હતો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ પર મોદીનગર નજીક આવેલ કૃષ્ણનગરમાં પૂરના પાણી ઓસર્યા બાદ પણ સાફ-સફાઈ નહીં થતા સ્થાનિક મહિલાઓમાં રોષ ભભૂક્યો હતો.
નર્મદા નદીમાં આવેલા ભારે પૂરના કારણે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડી મુકવામાં આવતા લોકોએ વિનાશક પૂરનો ભોગ બનવાનો વારો આવ્યો છે. જોકે, હવે પૂરના પાણી ઓસરી જતાં અંકલેશ્વર પંથકના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ઠેર ઠેર કાદવ-કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેના કારણે લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાય રહી છે, ત્યારે હવે પૂરના પાણી ઓસર્યા હોવાને 3થી વધુ દિવસ વીતી જવા છતાં પણ અંકલેશ્વર પાલિકા તંત્ર દ્વારા હાંસોટ રોડ પર મોદીનગર નજીક આવેલ કૃષ્ણનગરમાં સાફ-સફાઈ નહીં કરાતા સ્થાનિક મહિલાઓમાં પાલિકા પ્રત્યે રોષ ભભૂકી ઉઠ્યો છે. જેમાં પાલિકા તંત્રના સત્તાધીશોને રજૂઆત કરવા પહોંચેલી મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ સાથે જ વહેલી તકે કૃષ્ણનગરમાં સાફ-સફાઈ અને દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ કરી હતી.