અંકલેશ્વર : બોરભાઠા બેટના પૂર અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની વ્હારે આવ્યું ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું...
ભરૂચ જિલ્લાના પત્રકારોની સંસ્થા ભરૂચ સક્રિય પત્રકાર સંઘ આવા કપરા સમયે કાંઠા વિસ્તારના ગામોના વિદ્યાર્થીઓને મદદરૂપ થવા આગળ આવી
નર્મદા કાંઠા વિસ્તારમાં પૂરના પાણીએ વિનાશ વેર્યો છે, જેમાં કાંઠા વિસ્તારના ગામડાં, શાળાઓ પણ બાકાત નથી રહી. શાળાઓમાં અગત્યના દસ્તાવેજ પણ પાણીમાં ખરાબ થયા છે, જ્યારે ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલ અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ ગામની પુર અસરગ્રસ્ત પ્રાથમિક શાળાએ અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓના પુસ્તકો સહીત ભણવાના સાહિત્ય પણ પાણીમાં વહી ગયા અથવા ખરાબ થઈ ગયા છે, ત્યારે પત્રકારત્વની સાથે સાથે સામાજિક ક્ષેત્રે કાર્યરત ભરૂચ જિલ્લાના પત્રકારોની સંસ્થા ભરૂચ સક્રિય પત્રકાર સંઘ આવા કપરા સમયે કાંઠા વિસ્તારના ગામોના વિદ્યાર્થીઓને મદદરૂપ થવા આગળ આવી છે.
કાદવ-કીચડના ઢગથી ખડકાયેલ બોરભાઠા બેટ ગામની પ્રાથમિક શાળામાં ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગે સાથે મળી સફાઈ અભિયાન હાથ ધરી અભ્યાસ કાર્ય શરૂ કરવા શાળા તૈયાર કરી પૂર બાદ શાળામાં શૈક્ષણિક કાર્યના પ્રથમ દિવસે મદદરૂપ થવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો હતો. જેના ભાગરૂપે શાળામાં અભ્યાસ કરતા બાળ વાટીકાથી ધો. 8 સુધીના 341 બાળકોને નોટબુક અને કંપાસ સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેના પગલે બાળકોના ચહેરા પર પૂરની યાતનાઓને ભૂલી ખુશી છવાઈ ગઈ હતી.
ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જયશીલ પટેલે બાળકોને સાહસ વિના સિદ્ધિના હોવાની ઉક્તિ વર્ણવતા આવી કુદરતી આફતોથી આપણે વધુ મજબૂત થઈ બહાર આવતા હોવાનું કહી બાળકોનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વરના પ્રાંત અધિકારી પણ બાળકો માટે બિસ્કીટના પેકેટ સાથે આવતા બાળકોને શૈક્ષણિક કીટ તેમજ બિસ્કીટનું વિતરણ કાર્યક્રમ તેઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જયશીલ પટેલ સહિતના અન્ય હોદેદારો અને સભ્યો, તેમજ શાળાના આચાર્યા કિરણ પટેલ અને શિક્ષકો સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.