અંકલેશ્વર : નર્મદા મૈયા બ્રિજથી ગડખોલ પાટિયા સુધીના ખાડી વિસ્તારમાં 4 મગર હોવાનો વન વિભાગને અંદાજ..!
ગત તા. 17 અને 18 સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં આવેલા ભારે પૂરના કારણે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા
ભરૂચ અને અંકલેશ્વરને જોડતાં જૂના નેશનલ હાઇવે પર નર્મદા મૈયા બ્રિજથી ગડખોલ પાટિયા સુધીના વિસ્તારમાં 4 જેટલા મગર હોવાના અંદાજે અંકલેશ્વર સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પાંજરું ગોઠવી મગરોને કેદ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.
ગત તા. 17 અને 18 સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં આવેલા ભારે પૂરના કારણે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા. તેવામાં નર્મદા નદીના વહેણમાં કેટલાક મગરો પણ તણાઇ આવ્યા હોવાની માહિતી વન વિભાગને મળી હતી. 2 દિવસ અગાઉ અંકલેશ્વર અને ભરૂચને જોડતાં જૂના નેશનલ હાઇવે માર્ગ પર મગર દેખા દેતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. ખાડીના પાણીમાં મગર જોવા મળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ, આસપાસના ખેડૂતો અને પશુપાલકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. જોકે, નર્મદા મૈયા બ્રિજથી ગડખોલ પાટિયા સુધીના વિસ્તારમાં 4 જેટલા મગર હોવાનો અંકલેશ્વર સામાજિક વનીકરણ વિભાગને અંદાજ છે, ત્યારે વન વિભાગ દ્વારા માર્ગ નજીક મગરના સંરક્ષણ અંગેનું બેનર લગાવી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ ખાડી વિસ્તારમાં પાંજરું ગોઠવી મગરોને કેદ કરવા માટે પણ કવાયત હાથ ધરવામાં આવી છે.