ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લાની કે.આર.પટેલ વિદ્યામંદિર ખાતે SPC પ્રવેશોત્સવ-વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે આવેલ કે.આર.પટેલ વિદ્યામંદિર ખાતે SPC પ્રવેશ ઉત્સવ સહિત વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
SPC પ્રવેશોત્સવ ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે આવેલ કે.આર.પટેલ વિદ્યામંદિર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમલ્લા પોલીસ મથકના PSI બી.આર.પટેલ દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓ પોલીસની કામગીરીથી વાકેફ થાય તે માટે વિદ્યાર્થીઓને પોલીસ મથકની મુલાકાત લેવા માટે પણ આમંત્રણ આપ્યું હતું.
વધુમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે પોલીસ સ્ટાફ તરફથી શાળાના મુખ્ય શિક્ષકને સાહિત્ય અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવા SPCના વિદ્યાર્થીઓને તિલક કરી તેમજ હાથમાં ફૂલ આપી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે શાળા પરિવાર અને પોલીસ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ-વાલીઓ દ્વારા શાળા સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.