ભરૂચ : શું હવે તંત્ર અહીં પણ લગાવશે "એક્સિડન્ટ ઝોન"નું પાટિયું, જુઓ ક્યાં વધી રહ્યા છે અકસ્માતો..!

ભરૂચ અને અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગ પર વધતાં અકસ્માતોના કારણે ગડખોલ પાટિયા નજીકનો વિસ્તાર એક્સિડન્ટ ઝોન બન્યો હોય તેમ લાગી રહ્યું છે.

New Update
ભરૂચ : શું હવે તંત્ર અહીં પણ લગાવશે "એક્સિડન્ટ ઝોન"નું પાટિયું, જુઓ ક્યાં વધી રહ્યા છે અકસ્માતો..!

ભરૂચ અને અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગ પર વધતાં અકસ્માતોના કારણે ગડખોલ પાટિયા નજીકનો વિસ્તાર એક્સિડન્ટ ઝોન બન્યો હોય તેમ લાગી રહ્યું છે. સામ્રાજ્ય સોસાયટી પાસે 2 કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભરૂચ શહેરને જોડતા મુખ્ય માર્ગ એવા જૂના નેશનલ હાઇવે નંબર 8 ઉપર અકસ્માતોના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહ દરમ્યાન થયેલા અલગ અલગ અકસ્માતોમાં 3 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે મંગળવારના રોજ ભરૂચ-અંકલેશ્વર રોડ પર અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક આવેલ સામ્રાજ્ય સોસાયટી પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 કાર એકબીજા સાથે ભટકાઈ હતી. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઇવે નંબર 48 ઉપર ટોલ ટેક્સ બચાવવાના ચક્કરમાં મોટા પ્રમાણમાં વાહનચાલકો અંકલેશ્વરના ગડખોલ પાટિયા થઈને ભરૂચ તરફ જવાનો માર્ગ પસંદ કરી રહ્યા છે. તંત્ર દ્વારા આ માર્ગ પરથી ફક્ત મોટા સરકારી વાહનોને જ અવરજવર કરવાની પરવાનગી આપવામાં આવી છે. ઉપરાંત ખાનગી મોટા વાહનોને પ્રતિબંધ હોવા છતાં કેટલાક મોટા વાહનચાલકો જાણે પોલીસનો ડર રાખ્યા વિના આ માર્ગ પરથી બેરોકટોક પસાર થઈ રહ્યા છે, ત્યારે હવે અહીના મુખ્ય માર્ગ પર વધતાં અકસ્માતોને જોતાં વહીવટી તંત્ર અહીં પણ એક્સિડન્ટ ઝોનનું પાટિયું લગાવી દે તેમ લાગી રહ્યું છે.