ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે ફરી એકવાર ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો, ત્યારે હવે ટ્રાફિકની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
વાહનોથી સતત ધમધમતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે ફરી એકવાર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી પ્રતિન ચોકડી સુધી તેમજ વાલિયા ચોકડી પર ટ્રાફિક જામ થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઇવે પર આવેલ રાજપીપળા ચોકડી નજીક GIDC વિસ્તારમાં જતાં માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, આ કામગીરીના પગલે રાજપીપળા ચોકડીથી અંકલેશ્વર GIDC વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. જેથી હવે અહીનો ટ્રાફિક અંકલેશ્વર પ્રતિન ચોકડી તરફ વળ્યો છે, જેના કારણે મહાવીર ટર્નિંગથી લઈને પ્રતિન પોલીસ ચોકીથી વાલિયા ચોકડી સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ બળબળતા ઉનાળાનો તાપ અને બીજી તરફ ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે વારંવાર થતાં ટ્રાફિક જામને પહોચી વળવા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી ભરવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.