ભાવનગર : પીએમ મોદીએ “મન કી બાત” માં વિકાસ વર્તુળ ટ્રસ્ટનો ઉલ્લેખ કર્યો
વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આજે મન કી બાત કાર્યક્રમમાં ભાવનગરના વિકાસ વર્તુળ ટ્રસ્ટની 45 વર્ષની કામગીરીને બિરદાવી હતી. આ પુસ્તકાલયમાંથી જ્ઞાન લઈને લાખો વિદ્યાર્થીઓ અને નોકરીવાંચ્છુક ઉમેદવારોએ લાભ લઈ પોતાના જીવન અને કારકિર્દીનું ઘડતર કર્યું છે.
૧ ઓગસ્ટ ૧૯૭૫ના રોજ ભાવનગર ખાતે વિકાસવર્તુળ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. ૪૫ વર્ષથી કાર્યરત અને વિદ્યાર્થીઓ અને નોકરીવાંચ્છુક ઉમેદવારોને મફતમાં માર્ગદર્શન આપતા આ ટ્રસ્ટમાં અત્યારસુધીમાં 1 લાખ કરતા વધુ વિદ્યાર્થીઓએ આ ટ્રસ્ટ દ્વારા લેવાતી પરીક્ષામાં ભાગ લીધો છે. આ ટ્રસ્ટનું અનોખું પુસ્તકાલય"જ્ઞાન પરબ" કે જેમાં 7000 જેટલા પુસ્તકો હાલ મૌજુદ છે.જેમાં 6000 જેટલા પુસ્તકો માત્ર વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે ઉપયોગી બની શકે તે મુજબના છે. આ ટ્રસ્ટ હાલ કોરોનાની મહામારીમાં પણ એક વોટ્સએપ ગ્રુપ દ્વારા રોજબરોજની રોજગારી અંગેની જાહેરાતો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીનું મટીરીયલ વગેરે ઉપલબ્ધ કરાવે છે. સાથે સાથે ફોન, ઈમેલ, અને વિવિધ સેમિનારો થકી આ ટ્રસ્ટ અનેક ઉત્કૃષ્ટ કામગીરી દ્વારા વિદ્યાર્થીઓના માર્ગદર્શનનું માધ્યમ બની ચૂક્યું છે. આજના દિવસે વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આ ટ્રસ્ટ અને પુસ્તકાલયનો ઉલ્લેખ કરી તેની કામગીરીને બિરદાવી હતી. પીએમ મોદીની સરાહનાને લઈને ટ્રસ્ટના સભ્યોએ ગૌરવની લાગણી અનુભવી હતી. તેઓએ જણાવ્યુ હતું. પીએમ મોદી દ્વારા કામની સરાહનાથી અમે ગૌરવ અનુભવીએ છીએ અને હવે વડાપ્રધાન દ્વારા અમારામાં જુસ્સા માં વધારો કરતા હવે બમણા જોશથી કામ કરીશું.