Connect Gujarat
બિઝનેસ

રાજ્ય સરકારનો "આદેશ" : માત્ર 10 દિવસમાં જ કોરોના સહાયની ચુકવણી કરાશે...

રાજ્ય સરકારનો આદેશ : માત્ર 10 દિવસમાં જ કોરોના સહાયની ચુકવણી કરાશે...
X

ગુજરાત સરકારે ગત ગુરુવારની મોડી રાત્રે આદેશ જારી કરી કોરોનાના કારણે મૃત્યુ પામનાર લોકોના વાલી-વારસદારોને અરજી કર્યાના માત્ર 10 દિવસમાં જ સહાય રકમની ચૂકવણી કરી દેવા માટે સૂચના આપવામાં આવી હતી.

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો સહિત સંબંધિત સરકારી વિભાગોને આપવામાં આવેલા આદેશ અનુસાર, સ્ટેટ ડિઝસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી સહાય આપવાનું ઠરાવ્યું છે. આદેશની સાથે જ એક ફોર્મ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આ ફોર્મમાં માગવામાં આવેલી વિગતો મેળવીને માત્ર 10 દિવસમાં જ સહાયની ચુકવણી કરવા જણાવાયું હતું. સહાય માટે જારી કરવામાં આવેલા નવા ફોર્મમાં અરજદારના નામ, સરનામા, મોબાઇલ નંબર, આધારકાર્ડ નંબર, કોરોના મૃતક સાથેના સંબંધ તથા એકથી વધુ વારસદારના કિસ્સામાં અન્ય વારસદારની સંમતિની એફિડેવિટ તથા બેન્ક ખાતાની વિગતો માંગવામાં આવી છે.

અત્રે ઉલ્લખનીય છે કે, અગાઉ સુપ્રીમ કોર્ટે કોરોના સહાયની પ્રક્રિયાને જટિલ બનાવવા મુદ્દે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી, ત્યારે રાજ્ય સરકાર દ્વારા સહાય માટેની અરજીઓની ચકાસણી માટે સ્ક્રૂટિની કમિટીની રચના કરવામાં આવી હતી. જોકે, આ મુદ્દે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધા બાદ રાજ્ય સરકારે સ્ક્રૂટિની કમિટીની રચનાનો આદેશ રદ્દ કર્યો હતો, ત્યારે હવે કોરોનાથી મૃત્યુ પામનારના પરિજનોને માત્ર 10 જ દિવસમાં સહાયની ચૂકવણી કરી દેવા રાજ્ય સરકારે આદેશ કર્યો છે. તો બીજી તરફ તરફ ગાંધીનગર શહેરી વિસ્તારના કુલ 61 કોરોના સહાય લાભાર્થીનાં નામની યાદી પણ જાહેર કરવામાં આવી હતી.

Next Story