છોટાઉદેપુર : રાઠવા જ્ઞાતિના લોકોનું વિશાળ સંમેલન યોજાયું, જાણો શું છે આદિવાસી સમાજની માંગણી..!
રાઠવા જ્ઞાતિના દાખલા
મુદ્દે ફરી એક વાર છોટાઉદેપુર જિલ્લામાં આંદોલનની શરૂઆત થઈ છે. પાવીજેતપુર ખાતે
વિશાળ સંમેલન યોજાયો જેમાં રાઠવા જ્ઞાતિના 2000થી વધુ લોકો હાજર રહ્યા હતા.
સરકારી નોકરીઓમાં વારંવાર
રાઠવા જ્ઞાતિના ઉમેદવારો સામે આદિવાસી ન હોવાના પ્રશ્નો ઉભા કરવામાં આવે છે.
ઉપરાંત તેઓની જ્ઞાતીના ઉમેદવારોને સરકારી નોકરી ન અપાતા રાઠવા સમાજના લોકોમાં રોષ
ભભૂકી ઉઠ્યો છે. ગત લોક રક્ષક દળની પરીક્ષાના મેરીટમાં ઉપર આવ્યા છતાં રાઠવા જ્ઞાતિના
ઉમેદવારોને નોકરીના ઓર્ડર ન અપાતા પાવીજેતપુર ખાતે રાઠવા સમાજના લોકોનું વિશાળ
સંમેલન યોજાયું હતું. જેમાં વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી રાઠવા જ્ઞાતિ આદિવાસી
જ છે, તેવું પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું.
અગાઉ પણ અલગ અલગ ખાતાની
સરકારી નોકરીઓમાં રાઠવા જ્ઞાતિના ઉમેદવારો પસંદગી પામ્યા બાદ આદિવાસી હોવાના
દસ્તાવેજી પુરાવાઓમાં કોળી શબ્દ તેમજ હિન્દુ રાઠવાનો ઉલ્લેખ કરાયા હોવાનું કારણ
દર્શાવી દાખલા ખોટા હોવાનો સરકારની વિશ્લેષણ સમિતિએ નિર્ણય લીધો હતો. જેના કારણે
રાજ્યભરમાં અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા, ત્યારે સરકારમાં બેસેલા નેતાઓએ આ પ્રશ્ન હલ
કરવા બાંહેધરી પણ આપી હતી. પરંતુ આજ દિન સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી. જો
સરકાર આ મામલે વહેલી તકે કોઈ નિર્ણય નહીં લે તો આગામી સમયમાં જલદ આંદોલન કરવાની
આદિવાસી સમાજના લોકોએ ચીમકી ઉચ્ચારી છે.