સુરત: રાંદેરમાં શ્રી રતનેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે શ્રી મદ ભાગવત કથાનું આયોજન,જાણીતા કથાકાર ધનેન્દ્ર વ્યાસ કરાવશે કથાનું રસપાન
હરિદ્વાર, ચિત્રકૂટ સહિતના ધાર્મિક સ્થાનોમાં કથાનું રસપાન કરાવી ચુકનાર ઈલાવના વિખ્યાત કથાકાર ધનેન્દ્રભાઈ વ્યાસ વ્યાસપીઠ ઉપર બિરાજી સંગીતમય કથાનું રસપાન કરાવશે
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ રત્નેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર હેતુ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાંસોટ તાલુકાના ઈલાવ ગામના કથાકાર ધનેન્દ્રભાઈ વ્યાસ સંગીતમય રીતે કથાનું રસપાન કરાવશે. તાપી નદીના કિનારે વસેલ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં તાપી માતા અને સુવર્ણેશ્વર મહાદેવના પુત્ર રત્નેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. અતિ પૌરાણિક આ મંદિરના દર્શનનું અનેરું મહત્વ છે.
તાપી પુરાણમાં પણ આ મંદિરનો ઉલ્લેખ કરાયેલો છે. ત્યારે આ મંદિરના જીર્ણોદ્ધાર માટે વિવિધ સંસ્થાઓ અને સંગઠનો આગળ આવ્યા છે. આ મંદિર હાલમાં અત્યંત જીર્ણ થઇ ગયું છે. ૧૦૦ વર્ષ પૂર્વે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારે પુનઃ એક વાર આ મંદિરના જીર્ણોદ્ધારની નેમ કરવામાં આવી છે. જેના ભાગરૂપે મંદિર ખાતે શ્રી મદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૩ એપ્રિલથી આ કથા શરુ થશે અને તેની પુર્ણાહુતી ૨૯ એપ્રિલના રોજ કરવામાં આવશે. હરિદ્વાર, ચિત્રકૂટ સહિતના ધાર્મિક સ્થાનોમાં કથાનું રસપાન કરાવી ચુકનાર ઈલાવના વિખ્યાત કથાકાર ધનેન્દ્રભાઈ વ્યાસ વ્યાસપીઠ ઉપર બિરાજી સંગીતમય કથાનું રસપાન કરાવશે. અને તેઓની અસ્ખલિત વાણીથી ભક્તોને ભાગવતમય કરશે.
કથાના શુભારંભ પ્રસંગે દીપ પ્રાગટ્ય આચાર્ય ભરતભાઈ શુક્લના હસ્તે કરાશે તો આશીર્વચન રામમઢી આશ્રમમાં સંત મૂળદાસ બાપુ તેમજ હિન્દુ મિલન મંદિરના સ્વામી અંબરીશાનંદજી આપશે. તો માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશ મોદી, ઉર્જા અને પેટ્રોલીયમ મંત્રી મુકેશ પટેલ, સ્થાનિક નગરસેવકો તેમજ આમંત્રીતો પણ ઉપસ્થિત રહેશે. ૨૩ એપ્રિલના રોજ ચિત્રકૂટ નિવાસ, હનુમાન ટેકરી, રાંદેર ખાતેથી સાંજે ૬ કલાકે પોથી યાત્રા નીકળશે. કથાનો સમય સાંજે ૬.૩૦ થી રાતે ૧૦.૩૦ કલાકનો રહેશે. કથાનો લાભ લઇ મંદિરના જીર્ણોદ્ધાર માટે સહયોગી થવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.